ફાઇલ ફોટો . (ANI Photo)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કુલ 26 બેઠકોમાંથી ભાજપનો 25 બેઠકો પર વિજય થયો હતો અને એક બેઠક પર વિજય મેળવીને કોંગ્રેસ 2014 પછી પ્રથમ વાર લોકસભાની ચૂંટણીમાં ખાતુ ખોલાવ્યું હતું. આની સાથે તમામ 26 બેઠકો જીતને હેટટ્રીક લગાવવાની ભાજપની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો કોંગ્રેસના સોનલ પટેલ સામે આશરે 7.44 લાખ વોટની જંગી સરસાઈ સાથે વિજય થયો હતો.

મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાં કુલ 25માંથી 23 બેઠકો પર ભાજપ આગળ હતો. બીજી તરફ બનાસકાંઠા અને પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા સર્જાઈ હતી. બનાસકાંઠાથી કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોરની 21,651થી વધુ વોટથી બમ્પર જીત થઇ હતી. તેમણે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને હરાવ્યા હતાં. કોંગ્રેસે તેના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા હતા .બીજી તરફ, એક રેખા ચૌધરી પોતાની પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે.

પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિજય થયો હતો.

અન્ય 23 બેઠકો પર ભાજપના ઉમેદવારો મત ગણતરીમાં મજબૂત લીડ મેળવી હતી અને વિજયી બન્યાં હતા. નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આશરે પાંચ લાખની સરસાઈ સાથે જીત્યો હતો. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી જ્યારે પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પર વિજયી બન્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્યમાં 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે રાજ્યની તમામ લોકસભા બેઠકો પર કબજો કરીને કોંગ્રેસના સુપડા સાફ કર્યા હતાં.

ચૂંટણી પહેલા જ મુકેશ દલાલ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. આમ 26માંથી એક બેઠક પર ભાજપે અગાઉથી વિજય મેળવી લીધો હતો.

ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મંગળવારે સવારે 8 વાગ્યાથી  રાજ્યના 26 કેન્દ્રો પર મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની કવાયત દરમિયાન 56 મતગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારીઓ અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરાયા હતા.

ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 250થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જેમાં 60.13 ટકા મતદાન થયું હતું.

ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ભાજપને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પરિબળની ચૂંટણીના પરિણામમાં કોઇ અસર દેખાઈ ન હતી.

કોંગ્રેસે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી હતી. આ ગઠબંધન હેઠળ કોંગ્રેસે 24 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે ભાવનગર અને ભરુચની બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યાં હતા. ભારતના ચૂંટણીપ્રચારની કમાન વડાપ્રધાન મોદી અને અમિત શાહે સંભાળી હતી. કોંગ્રેસ વતી  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.

LEAVE A REPLY