ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નાગરિકતા (સુધારા) ધારો (CAA ) લાગુ કરશે અને તેને કોઈ રોકી શકશે નહીં. ઘૂસણખોરીને સમર્થન આપવા માટે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી CAAનો વિરોધ કરી રહ્યાં છે. મોટાપાયે ઘૂસણખોરી ધરાવતું રાજ્ય વિકાસ કરી શકતું નથી. તેમણે લોકોને 2026માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ચૂંટીને મમતા સરકારને ઉખાડી ફેંકવાનો અને 2024ની લોકસભા ચૂંટણીમાં પક્ષને સમર્થન આપીને તેનો પાયો નાખવાનો અનુરોધ કર્યો હતો.
વિવાદાસ્પદ સીએએ મુદ્દા અંગે તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જી તેનો વિરોધ કરી રહ્યાં છે, પરંતુ તે દેશનો કાયદો છે અને તેના અમલીકરણને કોઈ રોકી શકે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે સીએએ સામે વિપક્ષના ભારે વિરોધની વચ્ચે કેન્દ્ર સરકારે તેના નિયમો હજુ બનાવ્યા નથી.
ગૃહપ્રધાને જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એટલી સીટો આપો કે મોદીજી કહી શકે કે હું બંગાળના કારણે પીએમ બન્યો છું. બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કૉંગ્રેસે છેલ્લી વિધાનસભા ચૂંટણી ચેડાં કરીને જીતી હતી, પરંતુ ભાજપે શૂન્યથી 77 બેઠકો પર કૂદકો લગાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સંચાલિત સિન્ડિકેટ મોદી સરકાર દ્વારા મોકલવામાં આવેલી મોટી રકમ રાજ્યના ગરીબો સુધી પહોંચવા દેતી નથી.
રેલીમાં જંગી જનમેદનીનો ઉલ્લેખ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે આ લોકોનો આ મૂડનો સંકેત છે. ભાજપ 2026માં રાજ્યમાં બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તામાં આવશે.
બીજેપીના લોકસભા પ્રચારની શરૂઆત કરવા માટે કોલકાતા એક જંગી રેલીને સંબોધતા અમિત શાહે તુષ્ટિકરણ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસાના મુદ્દાઓ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતાં.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)