ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા હતા. યાત્રાના પ્રથમ દિવસે મોદીએ રોમમાં પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત પણ કરી હતી.

વડાપ્રધાન પિયાઝિયા ગાંધી ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી-મોદી’ના નારા સાથે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને આ લોકો સાથે વાતચીત પણ કરી હતી. રોમના રસ્તાઓ સંસ્કૃત શ્લોક અને ‘મોદી-મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા. કેટલાક ભારતીયોએ મોદીની મુલાકાત કરી અને સંસ્કૃતમાં શિવ તાંડવનું પણ ગાન કર્યું હતું. ભારત માતાની જયના નારા પણ લાગ્યા હતા.

મોદીએ રોમમાં પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.. (ANI Photo)

વડાપ્રધાન મોદી 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની યાત્રા પર છે. 29થી 31 ઓક્ટોબર સુધી ઇટાલીમાં G-20 ગ્રૂપ ઓફ કન્ટ્રીઝ સમિટમાં ભાગ લેવા માટે રોમ (ઇટલી)માં હશે અને ત્યારબાદ 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP-26)માં વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ લેવા બ્રિટનના ગ્લાસગો જશે.

2020ની શરૂઆતમાં વૈશ્વિક મહામારી ફાટી નીકળ્યા પછી આ પ્રથમ રૂબરુ G20 સમિટ છે. વડાપ્રધાને આ પહેલા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે સંયુક્ત બેઠક કરી હતી.