સ્વ. પ્રફુલભાઈ પટેલને પૂ. શાસ્ત્રીજી મહારાજ, પૂ. યોગીજી મહારાજ, પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને પ્ર. બ્ર. મહંત સ્વામી મહારાજના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પ્રફુલભાઈ ખૂબ જ નાની ઉંમરે સત્સંગમાં આવ્યા હતા. તેઓ 1950ના દાયકાના અંતમાં જિન્જાથી લંડન ગયા હતા અને યુકેમાં વ્યાપેલા BAPS સત્સંગના પ્રારંભિક અગ્રણીઓમાંના એક હતા. 1960ના દાયકામાં ઘણા વર્ષો સુધી લંડનમાં તેમના સાળા પ્રહલાદભાઈના ઘરે સત્સંગ સભાઓ નિયમિતપણે યોજાતી હતી.
પશ્ચિમી વિશ્વના સૌ પ્રથમ ઇસ્લિંગ્ટન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન વખતે 1970માં પૂ. યોગીજી મહારાજની લંડનની ઐતિહાસિક મુલાકાતની ઝીણવટપૂર્વક વ્યવસ્થા કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે વિશેષ યજ્ઞ, સેન્ટ્રલ લંડનમાં નગર યાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ તેમજ યોગીજી મહારાજને મળવા માટે ઘણા મહાનુભાવો અને પત્રકારોની ગોઠવણ કરી હતી. 1974માં ગુરુ તરીકે પ્રમુખ સ્વામી મહારાજની યુ.કે.ની પ્રથમ મુલાકાતની વ્યવસ્થામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 1970ના દાયકાની શરૂઆતમાં, તેમણે યુકેની BAPS સ્વામિનારાયણ સંસ્થાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ તરીકે અને પછીથી ઘણા વર્ષો સુધી વિવિધ પદો પર સેવા કરી. તેઓ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નજીકના સલાહકાર હતા અને ઇન્ટરફેઇથ સંવાદ અને સમજણને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમને ભાવભરી અંજલિ આપવામાં આવી હતી.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)