કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી, હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર વિના સોનાના આભૂષણોના વેચાણની મંજૂરી આપવામાં આવશે નહીં.
ગ્રાહક બાબતોના વિભાગના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, “ગ્રાહક હિતમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 31મી માર્ચ, 2023 પછી HUID વિના હોલમાર્ક કરાયેલ સોનાના આભૂષણો અને સોનાની કલાકૃતિઓના વેચાણની પરવાનગી આપવામાં આવશે નહીં.
અગાઉ, HUID ચાર અંકોનો હતો. અત્યારે બજારમાં બંને HUID (4- અને 6-અંક)નો ઉપયોગ થાય છે. અમે કહીએ છીએ કે 31 માર્ચ પછી ફક્ત 6-અંકના આલ્ફાન્યૂમેરિક કોડની મંજૂરી આપવામાં આવશે.
ગ્રાહક મંત્રાલયે કહ્યું હતું કે, આ નિર્ણય 4 અને 6 અંકના હોલમાર્કિંગની મૂંઝવણને લઈને લેવામાં આવ્યો છે. સોનાના ખરીદ-વેચાણના બદલાયેલા નિયમ મુજબ હવે માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે. જો આ નવા હોલમાર્ક વિના સોનાના દાગીના વેચવામાં આવશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં. મંત્રાલયે જણાવ્યું કે, નવા નિયમના અમલ બાદ 4 અંકના હોલમાર્ક પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
સોના અથવા તેમાંથી બનાવેલ કોઈપણ પ્રકારની જ્વેલરીને ઓળખવા માટે, તેના પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર લખવામાં આવે છે. આ HUID નંબર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે. જ્યારે જ્વેલર્સ તે જ્વેલરીની માહિતી BIS પોર્ટલ પર અપલોડ કરે છે, તો આ નંબર પરથી તમે ખરીદેલી જ્વેલરી સંબંધિત માહિતી મેળવી શકો છો. સોનાની છેતરપિંડીના મામલાઓમાં આવા કોડ ખૂબ અસરકારક છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)