નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન સ્થિત મહાવીર ફાઉન્ડેશને ૭ જૂનના રોજ પ્રતિષ્ઠા મહોત્સવની ૧૩મી વર્ષગાંઠની મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી ભક્તિ, જીવંત સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને સમુદાયની શક્તિશાળી ભાવના સાથે કરી હતી.
હેરોની JFS સ્કૂલ ખાતે યોજાયેલા પાંચ દિવસના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં યુકેભરમાંથી 5,000થી વધુ લોકો જોડાયા હતા. ઉજવણી દરમિયાન જૈન ધર્મના કાલાતીત સિદ્ધાંતો – અહિંસા, જીવ દયા અને આધ્યાત્મિક શિસ્તને પ્રતિબિંબિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.
બાળકોથી લઈને સમુદાયના વરિષ્ઠ સભ્યોએ જૈન ગુરુઓ અને મૂલ્યોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા ભાવનાત્મક પ્રદર્શનો રજૂ કર્યા હતા. પાઠશાળાના બાળકો, યુવા પાંખ, મહિલા પાંખ અને મહાવીર મંડળ દ્વારા પ્રેરણાદાયી ગીત, નૃત્ય અને નાટક દ્વારા જૈન ધર્મના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક સારને જીવંત બનાવ્યા હતા.
મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ, નિરજ સુતરિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
શાંતિ અને આધ્યાત્મિક સંવાદિતાના વૈશ્વિક રાજદૂત, પ. પૂ. રાજરાજેશ્વર ગુરુજીએ કહ્યું હતું કે “પ્રતિષ્ઠા મહોત્સવના 13 વર્ષ પૂર્ણ કરવા બદલ મહાવીર ફાઉન્ડેશનને અભિનંદન. છેલ્લા ચાર વર્ષોમાં નિરજભાઈ સુતરિયાના નેતૃત્વ હેઠળ, યુવાનોના પ્રેરણાદાયી જોડાણે આપણી આગામી પેઢીને આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક ઓળખ સાથે ફરીથી જોડી દીધી છે. આપણા યુવાનો માર્ગ બતાવી રહ્યા હોવાથી, આપણે ખરેખર શાંતિપૂર્ણ અને સંયુક્ત ભવિષ્ય તરફ આગળ વ
ધી રહ્યા છીએ.”
કાર્યક્રમમાં દેશના મિનિસ્ટર ફોર સર્વીસીસ, સ્મોલ બિઝનેસ એન્ડ એક્સપોર્ટ ગેરેથ થોમસ, હેરોના મેયર અંજનાબેન પટેલ, બ્રેન્ટના મેયર રાયન હેક, બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, બ્રેન્ટ કાઉન્સિલના ડેપ્યુટી લીડર મિલી પટેલ, લંડન એસેમ્બલી સભ્ય કૃપેશ હિરાણી, જૈન અગ્રણીઓ મેહુલ સંઘરાજકા MBE, નવીનભાઇ શાહ CBE, નેમુભાઈ ચંદારિયા, જયસુખભાઈ મહેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હર્ષિલ અને મોક્ષિત દ્વારા ભાવના, સંધ્યા ભક્તિ અને સરસ્વતી પૂજા કરાવાઇ હતી. ભવ્ય ઉજવણી માટે પલક શાહ અને ડૉ. સૌરભ શાહનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો.
