વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 13 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતાં. મોદી આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેન ક્રેશના સ્થળની પણ મુલાકાત લીધી હતી. તથા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંજલિ રૂપાણીને સાંત્વના આપી હતી.
મોદીએ હોસ્પિટલના C7 વોર્ડની મુલાકાત લીધી હતી, જ્યાં 25 ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમણે સિવિલ હોસ્પિટલના ડોકટરો સાથે પણ વાતચીત કરી હતી.
ગુરુવાર, 12 જૂને બપોરે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર (AI 171) મેઘાણીનગર વિસ્તારમાં આવેલા મેડિકલ કોલેજ સંકુલમાં ક્રેશ થયું હતું.તેમાં 241 મુસાફરો-ક્રુ મેમ્બર સહિત ઓછામાં ઓછા 265 લોકોનો મોત થયા હતાં.
વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર બચી ગયા હતાં, જ્યારે ૧૬૮ ભારતીયો, ૫૩ બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન સહિત ૨૪૧ લોકો માર્યા ગયા હતા.એરપોર્ટની બહાર બીજે મેડિકલ કોલેજના સંકુલમાં માર્યા ગયેલાઓમાં ચાર એમબીબીએસ વિદ્યાર્થીઓ અને એક ડૉક્ટરની પત્નીનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતાં અને સીધા મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટના સ્થળ પર ગયા હતાં. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતાં.
