પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક ખાસ પ્રકારના વર્ગના વિદ્યાર્થીઓ અનેક પ્રકારની છૂટછાટો-રાહતો મેળવવા માટે વિવિધ પ્રકારની વિકલાંગતાનો દાવો કરે છે. આ મુદ્દો અત્યારે ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. સ્ટેનફોર્ડના ઇન્ટરનેશનલ રીલેશન્સ અને ઇસ્ટ એશિયન સ્ટડીઝની વિદ્યાર્થિની એલ્સા જ્હોન્સને દાવો કર્યો હતો કે, તેમની યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓએ જુદા જુદા લાભ મેળવવા માટે પોતે વિકલાંગ હોવાનું જણાવીને પ્રવેશ મેળવ્યો હતો.
આ અંગેનો એક આર્ટિકલ ધ ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેણે વિદ્યાર્થીઓના આ પ્રકારના કિમિયાને ‘વ્યવસ્થાતંત્ર સાથે એક પ્રકારની છેતરપિંડી’ ગણાવી હતી. તેના જણાવ્યા મુજબ, આવા વિદ્યાર્થીઓ તેમની ખોટી વિકલાંગતાને આધારે ‘કેમ્પસમાં રહેવા માટે શ્રેષ્ઠ આવાસ, પરીક્ષા માટે વધારે સમય, વર્ગમાં વધુ હાજરીમાંથી મુક્તી, એસાઇન્મેન્ટ રજૂ કરવામાં વધારે સમય મેળવવા જેવા અનેક લાભ મેળવતા હતા.
વિદ્યાર્થી સંચાલિત સ્ટેનફોર્ડ રીવ્યુ- અખબારના મુખ્ય તંત્રી એલ્સા જ્હોન્સને એવો પણ દાવો કર્યો હતો કે, સ્ટેનફોર્ડના કેટલાક વિદ્યાર્થીઓ કેમ્પસમાં ભોજન માટે ફરજિયાત $7,944 ચૂકવવા પડે નહીં તે માટે ધર્મના નામે ભોજનમાં સંયમનો ઉલ્લેખ કરે છે. તેણે આર્ટિકલમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘કેટલાક વિદ્યાર્થીઓએ પોતે જૈન ધર્મી હોવાનો દાવો કરીને તેમાં નાના જંતુઓ અને કંદમૂળ જેવા શાકભાજી હોવાનો ઉલ્લેખ કરીને ભોજન લેવાનું ટાળે છે.’
‘હું જાણું છું કે, તે વિદ્યાર્થીઓ જૈન હોવાનો દાવો કરે છે (પરંતુ તેઓ હકીકતમાં નથી) તેઓ તેમના ભોજનના નાણા અન્ય ભોજનમાં ખર્ચ કરે છે અને તાજા બનાવેલા સલાડ તથા અન્ય સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણે છે, જ્યારે બાકીના અમારા જેવા લોકો કોલેજમાં બનેલા ‘મશરૂમ મિક્સ’માંથી બનાવેલા બર્ગર વગેરે આરોગે છે.’
ધ એટલાન્ટિકના એક રીપોર્ટ મુજબ, વર્તમાન શૈક્ષણિક વર્ષમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં 38 ટકા અંડરગ્રેજ્યુએટ્સે વિકલાંગતાની રાહતો મેળવી છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, દેશની અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ શારીરિક સમસ્યા અને ઉચાટ જેવી માનસિક તકલીફના નામે રાહતો મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોવાનું જણાયું છે. આ રીપોર્ટ મુજબ, બ્રાઉન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં 20 ટકાથી વધુ અંડરગ્રેજ્યુએટ્સ દ્વારા વિકલાંગતાની રાહતો મેળવવામાં આવી હતી.













