ભારતની એન્ટી ટેરર એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ત્રાસવાદના આરોપસર યુક્રેનના છ અને અમેરિકાના એક નાગરિકની ધરપકડ કરી હતી. દિલ્હીની ખાસ NIA કોર્ટે તેમને 11 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતાં.
અમેરિકન નાગરિકની ઓળખ મેથ્યુ વાનડાઇક તરીકે થઈ હતી. યુક્રેનિયન નાગરિકોમાં હુર્બા પેટ્રો, સ્લિવિયાક તારાસ, ઇવાન સુકમાનોવસ્કી, સ્ટેફનકિવ મેરિયન, હોનચારુક માક્સિમ અને કામિન્સકી વિક્ટરનો સમાવેશ થાય છે.
સાત વિદેશી નાગરિકો સામે દાખલ કરાયેલી FIR મુજબ તેઓ ઉત્તરપૂર્વમાં મિઝોરમના પ્રતિબંધિત વિસ્તારોમાં ગયાં હતા, ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશ કર્યો હતો અને વંશીય સશસ્ત્ર સંગઠનો (EAOs) અને ભારતમાં પ્રતિબંધિત કેટલાક જૂથોના સંપર્કમાં આવ્યાં હતાં. આરોપીઓએ કથિત રીતે સશસ્ત્ર જૂથોને તાલીમ આપી હતી, હથિયારો આપ્યા હતા અને ડ્રોન ઓપરેશનમાં મદદ કરી હતી.
યુક્રેને તેના નાગરિકોની ધરપકડને મુદ્દે ભારત સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. યુક્રેને પોતાના નાગરિકોની તાત્કાલિક મુક્તિ અને કાઉન્સિલર એક્સેસની પણ માગણી કરી હતી. જોકે અમેરિકન દૂતાવાસે ગોપનીયતાના કારણોસર આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
યુક્રેનના વિદેશ મંત્રાલયે આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે તેમના નાગરિકો વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિઓના કોઈ ચોક્કસ પુરાવા નથી.આંતરરાષ્ટ્રીય પ્રથાઓથી વિપરીત ભારત તરફથી ધરપકડ અંગે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નથી.













