
ગુજરાતમાં UCCના અમલની તૈયારી ચાલુ થઈ છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી પાંચ સભ્યોની સમિતિએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેનો વિગતવાર અને અંતિમ અહેવાલ મંગળવાર, 17 માર્ચે સુપરત કર્યો હતો. આનાથી હવે ગુજરાતમાં હવે લગ્ન, છૂટાછેડા જેવા મુદ્દા પર મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો માટે એકસમાન કાયદો અમલી બનાવવાનો તખ્તો તૈયાર થશે.
સમિતિના અંતિમ અહેવાલ પછી હવે રાજ્ય સરકાર ચાલુ બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં યુસીસી પર ડ્રાફ્ટ બિલ રજૂ કરે તેવી શક્યતા છે.
મુખ્યપ્રધાનને આ અહેવાલ સુપરત કરતી વખતે કરવામાં આવેલી રજૂઆતમાં સમિતિએ જણાવ્યું હતું કે તેને આ ડ્રાફ્ટ રિપોર્ટમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે એક સામાન્ય કાનૂની માળખું સૂચવ્યું છે. ખાસ કરીને આ ડ્રાફ્ટમાં મહિલાઓના સમાન અધિકારો અને રક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી છે. અહેવાલ તૈયાર કરતી વખતે ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને અહેવાલના ત્રણ વોલ્યુમ સોંપ્યા હતાં. આ સમિતિમાં નિવૃત્ત IAS અધિકારી સીએલ મીના, વરિષ્ઠ વકીલ આર સી કોડેકર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતા શ્રોફનો પણ સમાવેશ થાય છે.
UCC હેઠળ દરેક સમુદાય અને ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપતિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે. ઉદાહરણ તરીકે જે કાયદો હિંદુ ધર્મ માટે હશે તે જ કાયદો અન્ય ધર્મ માટે પણ હશે. તેમજ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન નહીં કરી શકાય. શરીયત મુજબ મિલકતના ભાગ નહીં પડે. UCCના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ જ બાબત નહિ બદલાય.












