પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોમવારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં થયેલા લોહિયાળ આતંકવાદી હુમલામાં ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ માટે જોખમી બનેલા પાકિસ્તાન સ્પોન્સર આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહીની તૈયારી કરી રહી છે ત્યારે આસિફે આ નિવેદન આપ્યું હતું.
રોઇટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આસિફે જણાવ્યું હતું કે અમે અમારા લશ્કરી દળોને મજબૂત બનાવ્યાં છે, કારણ કે તે કંઈક એવું છે જે હવે નિકટવર્તી છે. તેથી આવી સ્થિતિમાં કેટલાંક વ્યૂહાત્મક નિર્ણયો લેવા પડશે, તેથી તે નિર્ણયો લેવામાં આવ્યા છે. ઇસ્લામાબાદ હાઇ એલર્ટ પર છે અને જો અમારા અસ્તિત્વ માટે સીધો ખતરો હશે તો જ અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું.
આસિફે જણાવ્યું હતું કે ભારત ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યું છે અને પાકિસ્તાની આર્મીએ સરકારને ભારતીય હુમલાની શક્યતા અંગે માહિતી આપી છે. ઇસ્લામાબાદે ગલ્ફ દેશો અને ચીન સહિતના મિત્ર દેશોનો સંપર્ક કર્યો છે તથા બ્રિટન, અમેરિકા અને અન્ય દેશોને પણ પરિસ્થિતિ અંગે માહિતી આપી છે. ખાડીના અમારા કેટલાક મિત્રોએ બંને પક્ષો સાથે વાતચીત કરી છે. અમેરિકા આ બાબતમાં હસ્તક્ષેપ કરવાથી અત્યાર સુધી દૂર રહ્યું છે.
બીજી તરફ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે મુલાકાત કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે આતંકવાદનો સામનો કરવા માટે લેવામાં આવેલા મહત્ત્વના નિર્ણયો વિશે સંરક્ષણ પ્રધાનને માહિતી આપ્યાના એક દિવસ પછી આ બેઠક યોજાઈ હતી.
