- અહેવાલ : વિરેન વ્યાસ
એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જઇ રહેલી ફ્લાઇટ ટેઇક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં મુસાફરી કરી રહેલા એક સિવાયના તમામ મુસાફરો મૃત્યુ પામ્યા હતા.
આ મૃતકોની ઓળખ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ મૃતકોની ઓળખ સ્થાપિત કરવા તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તે માટે તેમની નજીકના પરિવારજનોના બ્લડ સેમ્પલ લઇને મૃતકો સાથે મેચ કરવાની કાર્યવાહી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મૃતકોના પરિવારજનો બ્લડ સેમ્પલ લેવા માટે બી. જે. મેડિકલના પરીક્ષા હોલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હોલમાં પરિવારજનો પાસે એક ફોર્મ ભરાવીને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હતા. આ સેમ્પલનો રીપોર્ટ ઓછામાં ઓછા 72 પછી મળવાની સંભાવના હતી. આ સેમ્પલ આપવા માટે આવેલા પરિવારજનોએ તેમની વ્યથા-કથા ‘ગરવી ગુજરાત’ સાથેની વાત-ચીત દરમિયાન જણાવી હતી.
2. રાણારામ ચૌધરી, ઘોરમીના ગામ, જિલ્લો બાડમેર, રાજસ્થાન, મૃતકના મામા
રાણારામના ભાણેજ જયપ્રકાશ બી. જે. મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ વિમાનનો પાછળનો ભાગ હોસ્ટેલ બિલ્ડિગ પર પડ્યું ત્યારે જ્યપ્રકાશ મેસમાં જમી રહ્યો હતો. તેમને આ ઘટનાની ખબર મળી એટલે તેઓ તરત જ અમદાવાદ જવા રવાના થયા હતા.
1. ઐયુબ ખાન, મુંબઇથી આવેલા મૃતકના મામા
ઐયુબ ખાનનો ભાણો જાવેદ અલી તેની બિમાર માતાની ખબર પૂછવા માટે વતન આવ્યો હતો અને અમદાવાદથી ઉપડેલી લંડનની ફ્લાઇટમાં હતા.
3. મૃતક ઇન્દ્રવદન શાહના દીકરી
ઇન્દ્રવદન શશિકાંત અને જ્યોતિબેન શાહના તેમના લંડનમાં રહેતા દીકરી પૂનમ કૌશિક શાહને મળવા આ ફ્લાઇટમાં જઇ રહ્યા હતા. પૂનમબેનના નાના બહેન મહારાષ્ટ્રના અકોલામાં રહે છે. તેઓ પોતાના માતા-પિતાની ઓળખ કરવા માટે બ્લડ સેમ્પલ આપવા માટે અમદાવાદ આવ્યા હતા.
4. કેતનાબેન મહેતા.
મૃતકના સગા કેતનાબેન મહેતાના તેમના નણંદ અને નણદોઇની ખબર મેળવવા માટે અમદાવાદ આવ્યા હતા. તેમના આ સગા લંડનમાં તેમની પુત્રીના ઘરે આ ફ્લાઇટમાં જઇ રહ્યા હતા.
5. મૃતકના સગા
એક મૃતકના સગાએ સરકાર દ્વારા ડીએનએ તપાસ માટે બ્લડ સેમ્પલ લેવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની પ્રશંસા કરી હતી અને સાથોસાથ આધુનિક વિજ્ઞાન દ્વારા ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી.
6. પ્રકાશ મહેતા, મૃતકના સાળા
ઉદેપુર જિલ્લાના રોહીડા ગામના રહેવાસી પ્રકાશચંદ્ર મેહાડીયા (ઉ. વર્ષ 45)નું આ દુર્ઘટનામાં મોત થયું હતું. તેઓ તેમના પિતાનું અવસાન થતાં વતન આવ્યા હતા. પ્રકાશચંદ્ર 20 વર્ષથી લંડનમાં વસતા હતા અને શેફ-કૂકનું કામ કરતા હતા. પ્રકાશચંદ્રનો પરિવાર ગામમાં જ વસવાટ કરે છે. પ્રકાશચંદ્રની સાથે તેમના મિત્ર વરદીચંદ મેનારીયા પણ આ ફ્લાઇટમાં સાથે જ હતા. આમ, બંને મિત્રોનું આ ફ્લાઇટમાં સાથે મૃત્યુ થયું હતું.
