ફાઇલ ફોટો (ANI Photo)

એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને ગુરુવારે જણાવ્યું હતું કે અમદાવાદમાં ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં ક્રેશ પહેલા કોઇ સમસ્યા ન હતી. વિમાનનું સારી રીતે મેન્ટેનન્સ થયું હતું અને છેલ્લે જૂન 2023માં તેની મોટી તપાસ કરાઈ હતી. આગામી ચેકિંગ આ વર્ષે ડિસેમ્બરમાં નિર્ધારિત હતું. ઉડાન પહેલા વિમાન કે તેના એન્જિનમાં કોઇ સમસ્યા દેખાઈ ન હતી.

ઇન્ટરનેશનલ વાઇડ બોડી ફ્લાઇટમાં ઘટાડાના મુદ્દે તેમને સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરનેશનલ વાઇડ બોડી ફ્લાઇટ્સમાં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય એક કામચલાઉ પગલું છે.

કેમ્પબેલ વિલ્સન જણાવ્યું હતું કે માર્ચ 2025માં તેના જમણા એન્જિનનું ઓવરહોલ કરાયું હતું અને એપ્રિલ 2025માં ડાબા એન્જિનનું નિરીક્ષણ કરાયું હતું. વિમાન અને એન્જિન બંનેનું નિયમિત નિરીક્ષણ કરાયું હતું. ઉડાન પહેલાં કોઈ સમસ્યા દેખાઈ ન હતી. એરલાઇન તેમજ સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ આ દુર્ઘટનાનું કારણ સમજવા માટે સત્તાવાર તપાસ અહેવાલની રાહ જોઈ રહ્યું છે.વિશ્વાસ વધારવાના પગલા તરીકે એરલાઇન તેના બોઇંગ 787 અને 777 કાફલાનું પ્રિ-ફ્લાઇટ સેફ્ટી ચેકિંગ વધારી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે વધારાના ચેકિંગને કારણે તેના શિડ્યુલ્ડને અસર થઈ છે. તેથી ઓછામાં ઓછા મધ્ય જુલાઇ સુધી ઇન્ટરનેશનલ વાઇડ બોડી ફ્લાઇડ્સમાં 15 ટકા ઘટાડાનો નિર્ણય કરાયો છે. આનાથી અમે કોઈપણ અણધારી સમસ્યાઓનો સામનો કરવા માટે વધુ બેકઅપ વિમાનો તૈયાર રાખી શકીશું. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઘટાડાથી ટ્રાવેલ યોજનાઓને અસર થશે,પરંતુ આ અસુવિધા બદલ અમે માફી માગીએ છીએ.

LEAVE A REPLY