ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદેથી જેઠાભાઈ ભરવાડે ગુરુવારે સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. સ્પીકરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના રાજીનામા ચોક્કસ કારણો હજુ સુધી બહાર આવ્યા નથી, પરંતુ તેનાથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થયું હતું.
આ રાજીનામું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપવામાં આવ્યું હતું.
રાજીનામાનું કારણ આપતા જેઠા ભરવાડે કહ્યું હતું કે ચર્ચા કરનારાઓ ચર્ચા કરતા રહેશે પણ મને કોઈ ફેર પડતો નથી. મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કામનો વધુ પડતો ભાર હતો, એટલે મેં રાજીનામું આપી દીધું છે. અન્યોને પણ મોકો મળવો જોઈએ અને મારા રાજીનામાનો આ જ ઉદ્દેશ્ય છે.
જેઠા ભરવાડ ગુજરાતના એક પીઢ અને પ્રભાવશાળી રાજકારણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેઓ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પરથી છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. રાજકારણ ઉપરાંત, જેઠા ભરવાડ સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ જ સક્રિય અને જાણીતું નામ છે. તેઓ પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા)ના ચેરમેન પણ રહી ચૂક્યા છે.










