નાણાપ્રધાન નિર્મલા સીતારામણને રવિવાર, 1 ફેબ્રુઆરીએ 2026-27ના નાણાકીય વર્ષ માટે લોકસભામાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં કોઇ મોટી જાહેરાતો કરી ન હતી. કોર્પોરેટ ટેક્સ અને ઇન્કમ ટેક્સ યથાવત્ રાખ્યા હતદાં, જ્યારે મેન્યુફેક્ટરિંગ ક્ષેત્રના વિકાસ માટે મોટો ભાર આપ્યો હતો. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે કોઇ મોટા સુધારાની જાહેરાત પણ કરી ન હતી.
નાણાપ્રધાને તેમના કુલ રૂ.53.5 લાખ કરોડના બજેટમાં મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે અનેક પગલાં, વૈશ્વિક ડેટા સેન્ટરો માટે ટેક્સ હોલિડે તથા કૃષિ અને પર્યટન ક્ષેત્રો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. તેનાથી વૈશ્વિક જોખમો વચ્ચે આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે લાંબા ગાળાની મદદ મળી શકે છે.
પોતાનું રેકોર્ડ નવમું બજેટ રજૂ કરતાં સીતારામને સરકારના મૂડી ખર્ચને ગયા વર્ષના રૂ.૧૧.૨ લાખ કરોડથી વધારી રૂ.૧૨.૨ લાખ કરોડ કર્યો હતો, જે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર સાત ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ વધારવા પ્રાથમિકતા આપશે. આ ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ, રેર-અર્થ મેગ્નેટ, રસાયણો, યંત્રસામગ્રી, ટેક્સટાઇલ્સ અને સ્પોર્ટ્સ ગૂડ્સનો સમાવેશ થાય છે. તેમણે રોજગાર સર્જન અને ટેકનોલોજી-આધારિત વિકાસ પર ભાર મૂક્યો હતો.
પશુધન, મત્સ્યઉદ્યોગ અને ઉચ્ચ મૂલ્ય ધરાવતા કૃષિ ક્ષેત્રો માટે શ્રેણીબદ્ધ પહેલોની જાહેરાત કરાઈ હતી. ભારતને બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડના રોકાણની દરખાસ્ત કરી હતી. ટેક્સટાઇલ્સ ક્ષેત્ર માટે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામની જાહેરાત કરાઈ હતી.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે દેશ વિકાસ ભારત તરફ આત્મવિશ્વાસપૂર્વક પગલાં લેવાનું ચાલુ રાખશે તથા મહત્વાકાંક્ષા અને સર્વસમાવેશ વચ્ચે સંતુલન જાળવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2026-27ના કેન્દ્રીય બજેટને ઐતિહાસિક ગણાવીને જણાવ્યું હતું કે તે 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને સુધારા યાત્રાને મજબૂત બનાવે છે અને વિકસિત ભારત માટે સ્પષ્ટ રોડમેપ દર્શાવે છે.
અન્ય પગલાંઓમાં વિદેશી પ્રવાસ પેકેજોના વેચાણ પર TCS ઘટાડી 2 ટકા કરાયો છે, જ્યારે LRS (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ વિદેશી શિક્ષણ અને તબીબી ખર્ચ પર આ ટેક્સ ઘટાડી 2 ટકા કરાયો છે. નવો આવકવેરા કાયદો, 2025, 1 એપ્રિલથી લાગુ કરાશે, જેમાં સરળ નિયમો હશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વૈશ્વિક આર્થિક માળખામાં થયેલા મોટા ફેરફારો કારણે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર મોટા આર્થિક સુધારા કરશે તેવી અપેક્ષા પણ ઠગારી નીવડી હતી. મહત્વાકાંક્ષી સુધારાઓનો અભાવ અને શેરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારાને કારણે ઇક્વિટી બજારોમાં ગભરાટ ફેલાયો હતો. ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાંનું એક રહ્યું છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ ૭.૪% રહેવાની ધારણા છે. પરંતુ વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટીનો રેકોર્ડ વેચવાલી કરી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે સરકાર દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા પર ધ્યાન આપશે. આગામી નાણાકીય વર્ષમાં સરકાર દેવા-જીડીપી રેશિયો 56.1%થી ઘટાડી 55.6% અને રાજકોષીય ખાધને ચાલુ વર્ષમાં 4.4%થી ઘટાડી 4.3% કરશે.
મુંબઈમાં ANZ ના અર્થશાસ્ત્રી ધીરજ નિમે જણાવ્યું કે સરકારે એક બિન-સાહસિક બજેટ રજૂ કર્યું છે. આ એક પ્રકારનું બજેટ છે, જે બોન્ડ બજારોને નર્વસ રાખશે, કારણ કે રાજકોષીય શિસ્તની ગતિ અપેક્ષા કરતા ધીમી છે. શેરબજારના રોકાણકારો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં ઘટાડાની અપેક્ષા રાખી રહ્યાં હતાં, ત્યારે તેમાં વધારો કરાયો છે. ફ્યુચર્સ ટ્રેડિંગ પર STT 0.02% થી વધારી 0.05% અને ઓપ્શન્સ પર 0.01%થી વધારી 0.15% કરાયો છે, જે આશરે 50 ટકાનો વધારો છે.
નાણાપ્રધાને દેશમાં ડેટા સેન્ટરનો ઉપયોગ કરી વિશ્વભરના ગ્રાહકોને ક્લાઉડ સેવાઓ પૂરી પાડતી વિદેશી કંપનીઓ માટે 2047 સુધી કર માફી (ટેક્સ હોલિડે)ની દરખાસ્ત કરી હતી.ચોક્કસ શરતોને આધીન સંબંધિત કંપનીઓને કરમુક્તિનો લાભ અપાશે. ટેક્સ હોલિડેનો લાભ લેવા માટે, કંપનીઓએ ભારતીય ગ્રાહકોને ભારતીય રિસેલર એન્ટિટી દ્વારા સેવાઓ પૂરી પાડવાની રહેશે. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ (NIMHANS-2)ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી.
મેડિકલ ટુરિઝમને વેગ આપવા માટે તેમણે ખાનગી ક્ષેત્રની ભાગીદારમાં પાંચ રિજનલ મેડિકલ હબની સ્થાપનાની પણ દરખાસ્ત કરી હતી. આ હબ સંકલિત આરોગ્યસંભાળ સંકુલ તરીકે સેવા આપશે, જે તબીબી, શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓને ધરાવતા હશે. તેમાં આયુષ કેન્દ્રો, મેડિકલ વેલ્યૂ ટુરિઝમ ફેસિલિટી તથા નિદાન, પોસ્ટ-કેર અને પુનર્વસનની માળખાગત સુવિધાઓ હશે. આ ઉપરાંત ત્રણ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદની સ્થાપના કરાશે.
બજેટમાં કેન્સરના દર્દીઓને મોટી આર્થિક રાહત આપતા 17 જીવનરક્ષક કેન્સર દવાઓ પરની ‘બેઝિક કસ્ટમ ડ્યુટી’ સંપૂર્ણપણે નાબૂદ કરવાની દરખાસ્ત કરાઈ છે. આ નિર્ણયથી કેન્સરના દર્દીઓ માટે મોંઘી દવાઓ સસ્તી બનશે. આ ઉપરાંત અન્ય સાત દુર્લભ રોગોની દવાઓ પર પણ આયાત ડ્યુટી માફ કરાઈ છે.
નાણાપ્રધાને ભરતને વિશ્વનું નંબર વન ફાર્માસ્યુટિકલ હબ બનાવવાના લક્ષ્ય સાથે ₹10,000 કરોડના રોકાણ સાથે ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજનાની જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ્ય કેન્સર અને ડાયાબિટીસ જેવી જૈવિક દવાઓનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે. દેશભરમાં 10,000 નવી ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ બનાવવામાં આવશે. બાયો-ફાર્મા ક્ષેત્રમાં 3 નવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાશે અને હાલની 7 સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાશે.













