અમેરિકામાં સિવિલ ફ્રોડ કેસમાં ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ની કાનૂની નોટિસ સ્વીકારવા સંમત થયા છે. આ કેસ ભારતમાં અધિકારીઓને કથિત લાંચ અંગે અમેરિકાના રોકાણકારોને ગેરમાર્ગે દોરવા સંબંધિત છે. અદાણી અને એસઇસીના વકીલો વચ્ચે આ અંગે સંમતિ સધાઈ છે, જોકે સહમતી કોર્ટની મંજૂરીને આધીન છે.બંને અદાણીઓ ભારતમાં હોવાથી અને તેમને નોટિસ ન મળી શકી હોવાથી બંને મુકદ્દમા એક વર્ષથી વધુ સમયથી અટકેલા છે.
અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી (AGEL)એ શેરબજારોને આપેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને સાગર અદાણી નોટિસ સ્વીકારવા માટે સંમત થયા તે એક પ્રક્રિયાગત પગલું છે અને તેઓ SECની ફરિયાદને ફગાવી દેવાની માંગ કરશે અથવા બચાવમાં પોતાની દલીલો કરશે. જોકે અદાણીના વકીલો ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂ યોર્ક (EDNY)ના અધિકારક્ષેત્રને સ્વીકાર્યા વગર નોટિસ સ્વીકારવા તૈયાર થયા છે.
બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલાં ફાઇલિંગમાં મુજબ SEC અને અમેરિકા સ્થિત ગૌતમ અદાણી અને સાગર અદાણીના વકીલોએ જણાવ્યું હતું કે વકીલો આ નિયમનકારી સંસ્થાના કાનૂની પેપર્સ સ્વીકારવા સંમત થયા છે. તેનાથી હવે જજે નોટિસ કેવી રીતે મોકલવી તેનો ચુકાદો આપવો પડશે નહીં.
બંને પક્ષકારો વચ્ચે સંમતિની આ સંયુક્ત અરજી સંબંધિત કોર્ટની મંજૂરી માટે દાખલ કરાઈ છે. અમેરિકામાં કાનૂની કાર્યવાહીમાં આ એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે, જેનાથી કેસનો ઉકેલ આવે છે. જો જજ મંજૂરી આપશે તો આ મામલામાં એસઇએ આગળ વધશે, જ્યારે અદાણીને 90 દિવસમાં આ કેસને રદ કરવાની અરજી કરવાનો અથવા પોતાના બચાવમાં દલીલ કરવાનો સમય મળશે. આ પછી એસઇસી 60 દિવસમાં ફરિયાદ પક્ષ તરફથી દલીલ કરશે. પ્રતિવાદીઓ 45 દિવસમાં ફરિયાદ પક્ષની દલીલના વિરોધના જવાબો દાખલ કરી શકે છે.
SECએ નવેમ્બર 2024માં દાવો દાખલ કરીને આરોપ મૂક્યો હતો કે ગૌતમ અદાણી અને સાગર અદાણી બંનેએ અદાણી ગ્રીન એનર્જી (AGEL) વિશે ખોટી અને ગેરમાર્ગે દોરનારી રજૂઆતો કરીને યુએસ સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.
SECની આ દિવાની ફરિયાદ ઉપરાંત બ્રુકલિનના ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ મૂક્યો છે કે અદાણી અને અન્ય લોકો ભારતમાં સૌર ઉર્જા કરાર મેળવવા માટે 26.5 કરોડ ડોલર (રૂ.2,429 કરોડ)ની લાંચ આપવાના કાવતરામાં સામેલ છે. જોકે અદાણી ગ્રુપ વારંવાર આવા તમામ આરોપોને નકારી ચુક્યું છે.
AGELએ તેના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને સાગર અદાણી પર યુનાઇટેડ સ્ટેટ્સ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી એટલે કે પ્રતિવાદીઓ સામે લાંચ કે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. આ ઉપરાંત કંપની આ કાર્યવાહીમાં કોઇ પક્ષકાર નથી અને તેની સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યા નથી














