પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં બુધવાર, 4 માર્ચે ધૂળેટીના પર્વે નદીમાં ડુબી જવાની અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20થી વધુ લોકોના મોત થયા હતાં. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને સુરત જિલ્લામાં બનેલી આવી ઘટનાઓથી હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

અમદાવાદના કોતરપુરમાં સાબરમતી નદીમાં નાહવા પડેલા ચાર યુવકોના ડુબી જવાથી મોત થયા હતાં. આ ચારેય યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહ બહાર કઢાયા હતાં અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.

અમદાવાદ જિલ્લાના જ માંડલના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી બાદ ઝોલાસર તળાવમાં 5 જેટલા બાળકો નાહવા પડ્યા હતા. આ દરમિયાન ત્રણ બાળકોના ડૂબી જતાં મોત થયા હતાં, જ્યારે અન્ય બે બાળકોને બચાવી લેવાયા હતાં. મહીસાગરના કોઠંબા નજીક આવેલા રાઘવના મુવાડા ગામે ધૂળેટી રમીને તળાવમાં નાહવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતાં. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે પણ ધૂળેટી રમીને ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ પાણીમાં ગરકાવ થયા હતાં.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે કીમ નદીમાં ધૂળેટીના દિવસે નાહવા ગયેલા ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક ધૂળેટી રમ્યાં બાદ શેત્રુંજી નદીમાં નાહવા માટે ગયો હતો, જ્યાં અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિંઢોળા નદીમાં 5 યુવકો ડૂબ્યા હતાં. જેમાંથી ચારના મોત નિપજ્યાં હતા અને એકનો બચાવ થયો હતો. મહેસાણા જિલ્લાના કડીના થોળ રોડ પર સિંધવાઇ માતાજીના મંદિરની બાજુમાં આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હતું.

LEAVE A REPLY