અમેરિકા – ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ભારતના સંખ્યાબંધ પ્રવાસીઓ દુબઈમાં ઘણા દિવસોથી ફસાઈ ગયા છે અને કેટલાય લોકો – પરિવારો પૈસા ખૂટી પડવાથી લગભગ અસહાય જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે બે ભારતીય બિઝનેસમેન તેમની વહારે આવ્યા છે.
ભારતીય અંગ્રેજી અખબાર ‘ધી ટ્રિબ્યુન’ના અહેવાલ મુજબ દુબઈમાં અલ મિઝાન ગ્રુપના ચેરમેન યોગેશ દોશીએ પોતાની માલિકીનું 64 એપાર્ટમેન્ટનું આખું બિલ્ડીંગ ફસાયેલા ભારતીયોને આશ્રય માટે ખુલ્લુ મુકી દીધું છે, સાથે સાથે ત્યાં આવેલા લોકો માટે વિના મૂલ્યે ભોજન તથા બેડ્સની સુવિધા પણ આપી છે. યોગેશ દોશીએ ઈન્ડિયન પીપલ્સ ફોરમ, યુએઈ તથા દુબઈ ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ સાથે સંકલન સાધી ફસાયેલા ભારતીય પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરી છે. તેમની સુવિધા બાળકો સહિતના પરિવારો મળી 125થી વધુ ભારતીયો માટે આશિર્વાદરૂપ બની છે.
એવી જ રીતે, રાજસ્થાનના વતની અને હાલમાં યુએઈમાં કારોબાર ધરાવતા ધિરજ જૈને પણ અજમન ખાતેનું પોતાનું વિશાળ ફાર્મ હાઉસ ફસાયેલા ભારતીયોને આશ્રય માટે ખુલ્લુ મુક્યું છે. પૈસા ખૂટી પડવાના પગલે ફસાયેલા લોકો માટે તેમને ત્યાં વિના મૂલ્યે રહેવા અને ભોજનની સુવિધા પુરી પડાઈ રહી છે. ફસાઈ ગયેલા લોકોને હોટલો કે અન્ય સ્થળોએથી તેમના ફાર્મહાઉસ સુધી લાવવા ધિરજ જૈને પોતાની છ રોલ્સ રોયસ સહિતની 11 કારનો કાફલો પણ તહેનાત કરી દીધો છે.
ફસાયેલા લોકો દુબઈ એરપોર્ટ સહિતના સ્થળોએ અસાહય સ્થિતિમાં થાકેલા અને નિરાશાભરી હાલતમાં મુકાયા હતા ત્યારે આ બન્ને બિઝનેસમેન ભારતીયોની વહારે આવ્યા હતા.











