(PTI Photo/Kunal Patil)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ T20 વર્લ્ડ કપમાં ત્રીજી જીત બાદ સમગ્ર ભારતીય ટીમ માટે રૂ.131 કરોડના રેકોર્ડ રોકડ પુરસ્કારની મંગળવારે જાહેરાત કરી હતી. ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં બાર્બાડોસમાં 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે બોર્ડે 125 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી હતી. આમ રોકડ પુરસ્કારની રકમમાં આ વખતે રૂ.6 કરોડનો વધારો કરાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ રકમ 15 ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, અન્ય સપોર્ટ સ્ટાફને આવરી લે છે. આ રકમમાં ખેલાડીઓને સિંહફાળો મળવાનું નિશ્ચિત છે, જ્યારે સપોર્ટ સ્ટાફની રકમ તેમના હોદ્દા અનુસાર નક્કી કરાશે. 15 ખેલાડીઓમાંથી દરેકને 6 કરોડ રૂપિયા મળશે, જ્યારે બાકીના 41 કરોડ રૂપિયા સમગ્ર સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે.

બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “બોર્ડ આ ઐતિહાસિક સિદ્ધિ પર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને ફરી એકવાર અભિનંદન આપે છે અને ભવિષ્યમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવે છે.”

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારતે પ્રતિષ્ઠિત ટ્રોફી જીતી ટાઇટલનો બચાવ કર્યો હતો અને ટુર્નામેન્ટના ઇતિહાસમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જાળવી રાખનારી પ્રથમ ટીમ બની હતી.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ T20 વર્લ્ડ કપ 2026માં જીત બદલ ભારતીય ટીમને 3 મિલિયન ડોલર (રૂ.27.48 કરોડ) પુરસ્કારની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY