(PTI Photo)

પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ભારતમાં રાંધણ ગેસ (LPG)ની અછત સર્જાવાનો ગભરાટ ફેલાયો છે. દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરના બુકિંગ માટે લાંબી લાઇનો લાગી હતી. ઘણા વિતરકોએ જણાવ્યું હતું કે માંગમાં અચાનક વધારો થવાથી સ્થાનિક બજારમાં કામચલાઉ કટોકટી સર્જાઈ છે.

મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા શહેરોની હોટેલ અને રેસ્ટોરન્ટ્સના માલિકોએ જણાવ્યું હતું કે રવિવારથી કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો બંધ થઈ ગયો છે, જેના કારણે અનેક હોટેલો બંધ કરવાની ફરજ પડી છે. એકલા મુંબઈમાં જ, પુરવઠામાં વિક્ષેપને કારણે લગભગ 20% હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હોવાના અહેવાલ છે. મહાનગરોમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે.

ઘણા વિતરકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં સિલિન્ડરની માંગમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે ગ્રાહકોને રાહ જોવાનું કહેવું પડ્યું છે, કારણ કે તેમનો ઉપલબ્ધ સ્ટોક બુકિંગમાં અચાનક થયેલા વધારાને પહોંચી વળવા માટે પૂરતો નથી. છેલ્લાં કેટલાંક દિવસમાં એલપીજી સિલિન્ડરની માગમાં 50 ટકા વધારો થયો હોવાને એક વિતરકે દાવો કર્યો હતો.

સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસની ફાળવણી માટેના પ્રાથમિકતાના ક્રમમાં સુધારો કર્યો છે, જેમાં CNG અને પાઇપ દ્વારા રાંધણ ગેસની સાથે LPG ઉત્પાદનને ટોચની પ્રાથમિકતા આપી છે. ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશનના પ્રમુખ પી એન સેઠે જણાવ્યું હતું કે ગભરાટને કારણે આ ધસારો થયો હતો.

સરકારે પણ ઇમર્જન્સી પગલાં લઇને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને પ્રથમ સપ્લાય આપવાનો નિર્ણય કર્યો છે. ઘરો અને ઓટોમોબાઈલને 100% કુદરતી ગેસ પૂરો પાડવાની ટોચની પ્રાથમિકતા નિર્ધારિત કરી છે. બીજી પ્રાથમિકતા ફર્ટિલાઇઝર પ્લાન્ટ છે, જેમને 70 ટકા સપ્લાય મળશે.

પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિ હોવા છતાં ઘરેલુ ગ્રાહકોને CNG અને PNGનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવા અને અન્ય ઉદ્યોગોને તેમનો 70-80% પુરવઠો મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે અમે પગલાં લીધાં છે. અમે અમારા ઘરેલુ ગ્રાહકોને સસ્તી ઉર્જાનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ઘરેલુ ગ્રાહકો માટે કોઈ અછત નથી અને ગભરાવાનું કોઈ કારણ નથી.

LEAVE A REPLY