ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર ખાતેના અંબાજી મંદિરના પરિસરમાં કેટલાંક લોકો માંસાહાર અને દારૂનું સેવન કરીને પાર્ટી કરતાં હોવાનો એક વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ ૧૧ પૂજારીઓ અને સહાયકોને હટાવી દીધા હતાં, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવાસિયાએ જણાવ્યું હતું કે મંદિરમાં પૂજારીઓ અને સહાયકો સહિત અગિયાર લોકોને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે અને અંબાજી મંદિરમાં ત્રણ અન્ય પૂજારીઓની અસ્થાયી રૂપે નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ મંદિરમાં કથિત પાર્ટીની તપાસ કરી રહી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરાડિયાએ આ બાબતને ગંભીર ઘટના અને સનાતન ધર્મનો અનાદર ગણાવ્યો હતો.
ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ જામી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કથિત વીડિયોમાં બેથી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરતા, દારૂ પીતા અને માંસાહાર કરતા જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમા લજવનારા કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી ભરતગીરી ધનગીરી,ભાર્ગવ ચૌહાણ, શૈલેશગીરી ગૌસ્વામી, ધવલગીરી ગૌસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગૌસ્વામી, વિજયભાઈ ત્રિવેદી અને સમીયા રામ રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતાં.
આ અપવિત્ર ઘટના બાદ મામલતદારની સીધી દેખરેખ હેઠળ આખાય મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હતું.











