
મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે બુધવારે સંયુક્ત આરબ અમીરાતના એક બંદરેથી નીકળ્યા પછી તરત જ હોર્મુઝ ખાડી નજીક થાઈ ધ્વજવાળા કાર્ગો જહાજ પર હુમલો કરાયો હતો. આ હુમલાને પગલે જહાજમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. 20 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ ગુમ થયા હતાં, એમ રોયલ થાઇ નેવીએ જણાવ્યું હતું.
થાઈ કંપની પ્રેશિયસ શિપિંગની માલિકીનું મયુરી નારી નામનું આ કાર્ગો જહાજ ખલીફા બંદરથી નીકળીને ભારતના કંડલા બંદર તરફ જઈ રહ્યું હતું ત્યારે હોર્મુઝ ખાડીમાંથી પસાર થતી વખતે તેના પર હુમલો થયો. ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
રોયલ થાઈ નેવીએ જારી કરાયેલા ફોટામાં જહાજમાંથી જાડા કાળા ધુમાડા નીકળતા જોવા મળ્યા હતાં અને આસપાસના પાણીમાં લાઈફ રાફ્ટ્સ દેખાઈ રહ્યાં હતાં. ઓમાન નૌકાદળે 20 ખલાસીઓને બચાવી લીધા હતી અને બાકીના ત્રણ ક્રૂ સભ્યોને બચાવવા માટે પ્રયાસો ચાલુ કર્યા હતાં..
અગાઉ યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું હતું કે ગઈકાલે ગલ્ફમાં ત્રણ ત્રણ કોમર્શિયલ જહાજો પર હુમલા કરાયા હતાં. તે તાત્કાલિક સ્પષ્ટ નથી કે મયુરી નારી તેમાંથી એક હતું કે નહીં. રોયલ થાઈ નેવીના નિવેદન મુજબ, આ જહાજ 178 મીટર લાંબુ છે અને તેમાં ૩૦,૦૦૦ ટન કાર્ગો છે.
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલા શરૂ કર્યા પછી આ સાંકડા દરિયાઇ માર્ગમાં શિપિંગ લગભગ ઠપ્પ થઈ ગયું છે
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણી આપી છે કે ખાડીમાં પસાર થતા કોઈપણ જહાજને નિશાન બનાવવામાં આવશે.
બુધવારે શરૂઆતમાં જાપાનના ધ્વજવાળા કન્ટેનર જહાજ વન મેજેસ્ટી પર પણ હુમલો થયા હતો અને તેનાથી જહાજને નજીવું નુકસાન થયું હતું.












