
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં શુક્રવાર, 13 માર્ચની વહેલી સવારે ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં આગ લાગતા એક મુસાફરનું દાઝી જવાથી મોત થયું હતું અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા થયા હતાં. ઘાયલોમાંથી કેટલાંકની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
બીજી તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની પેસેન્જર બસમાં પણ શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં બે મુસાફરો ઘાયલ થયા હતાં. આગ એન્જિન અથવા એસી યુનિટમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે.
બનાસકાંઠના ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે આ બસ રાજસ્થાનના નાચણાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે બસમાં અચાનક આગ લાગી હતી. તે સમયે બસમાં રહેલા મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતાં. થોડી જ વારમાં આગે સમગ્ર બસને ઘેરી લીધી હતી, જેના કારણે બસમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. આગ અને ધુમાડાથી બચવા માટે ઘણા મુસાફરોએ બસની બારીઓ તોડી બહાર કૂદી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા છ મુસાફરો દાઝી ગયા હતાં અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.











