
વિશ્વપ્રસિદ્ધ ડિઝાઇન સોફ્ટવેર કંપની એડોબીએ ગુરુવાર, 12 માર્ચે જાહેરાત કરી કે તેના લાંબા સમયના ભારતીય મૂળના CEO શાંતનુ નારાયણ નવા ઉત્તરાધિકારીની નિમણૂક થયા બાદ પદ છોડશે. આ જાહેરાત પછી કંપનીના શેરના ભાવમાં સાત ટકાનો કડાકો બોલાયો હતો. નારાયણની વિદાય પછી કંપનીની AI રણનીતિ અંગે રોકાણકારોમાં નવેસરથી ચિંતા ઊભી થઈ હતી.
આ જાહેરાત બાદ માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક સંદેશ શેર કરીને શાંતનુ નારાયણની લીડરશિપ અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
નારાયણે લગભગ 18 વર્ષ સુધી સફળ એડોબીનું નેતૃત્વ કર્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન કંપનીના મુખ્ય સોફ્ટવેર જેવા કે એડોબી, ફોટોશોપ, એડોબી ઇલસ્ટ્રેટર, એડોબી પ્રીમિયર પ્રો અને એડેબી ઇનડિઝાઇન વિશ્વભરના ક્રિએટિવ ક્ષેત્રના લોકો માટે અત્યંત લોકપ્રિય અને ઘરઘરમાં ઓળખાતી પ્રોડક્ટ બની ગયા હતાં.
કંપનીએ જણાવ્યું કે નારાયણ CEO પદ છોડ્યા પછી પણ બોર્ડના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે અને નવા CEOને માર્ગદર્શન આપશે. જોકે તેમના પદ છોડવાની જાહેરાત એવા સમયે થઈ છે, જ્યારે એડોબી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે ભાગીદારી, નવી પહેલ અને સંભવિત એક્વિઝિશન જેવી વ્યૂહરચનાઓ અપનાવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમન સાથે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. નવા AI આધારિત પ્લેટફોર્મ્સ એડોબીનાના પ્રભુત્વને પડકાર આપી રહ્યા છે.











