REUTERS/Yuka Obayashi/File Photo

ઇરાન પર 28 ફેબ્રુઆરીએ અમેરિકન અને ઇઝરાયેલના આક્રમણને પગલે મધ્યપૂર્વમાં સંઘર્ષ વધ્યો હોવાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના એશિયના નવ દેશોમાં ઊર્જાની કટોકટી ઊભી થઈ હતી. વૈશ્વિક એનર્જી સપ્લાય માટે મુખ્ય જળમાર્ગ ગણાતા હોર્મુઝની ખાડીમા શિપિંગ ઠપ થયું હોવાથી વિશ્વનો ૨૦ ટકા તેલનો પુરવઠો ખોરવાયો છે. તેની સૌથી વધુ અસર એશિયન દેશોને થઈ છે.

પાકિસ્તાનમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાન યુદ્ધની અસરને સરભર કરવા માટે અનેક અસાધારણ પગલાંની સોમવાર, 9 માર્ચે જાહેરાત કરી હતી. જેમાં ઘરેથી કામ (WFH), ફોર-ડે વર્ક વીક, તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવાના સહિતના પગલાંનો સમાવેશ થાય છે. સરકારે નિર્ણય કર્યો હતો કે જાહેર અને ખાનગી ક્ષેત્રના 50 ટકા કર્મચારીઓ ઇંધણ બચાવવા માટે ઘરેથી કામ કરશે. વધુમાં તેઓ અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરશે. જોકે બેંકો અને ચાવીરુપ મુખ્ય ઉદ્યોગોને આ નવા નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવશે.

સરકારે આગામી બે મહિના માટે સરકારી વાહનોને ઇંધણ ફાળવણીમાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 60 ટકા સરકારી વાહનો કામ કરવાનું બંધ કરી દેશે. તમામ કેબિનેટ પ્રધાનો અને સલાહકારોને બે મહિના સુધી કોઈ પગાર મળશે નહીં અને આ સમયગાળા દરમિયાન બધા સંસદસભ્યોના પગારમાં 25 ટકાનો ઘટાડો કરાશે. ગ્રેડ 20 અને તેથી વધુ ગ્રેડના તમામ સરકારી કર્મચારીઓ, જેઓ દર મહિને 300,000 રૂપિયાથી વધુ પગાર મેળવે છે, તેઓ એક વખત માટે બે દિવસનો પગાર પરત કરશે.

/* */

થાઈલેન્ડની સરકારે ઉર્જા બચાવવા માટે સરકારી કચેરીઓમાં લિફ્ટના વપરાશ પર પ્રતિબંધ મૂકી કર્મચારીઓને સીડીનો ઉપયોગ કરવા આદેશ આપ્યો હતો.. આ સાથે જ ‘વર્ક ફ્રોમ હોમ’ લાગુ કરવામાં આવ્યું હતું.. એર કંડિશનરનું તાપમાન ૨૬ થી ૨૭ ડિગ્રી રાખવાની સૂચના અપાઈ હતી અને અધિકારીઓને ફોર્મલ સૂટ-ટાઈના બદલે ટૂંકી બાંયના શર્ટ પહેરવા જણાવાયું હતું.

બાંગ્લાદેશે વીજળી અને ઈંધણનો વપરાશ ઘટાડવા તમામ યુનિવર્સિટીઓ બંધ કરવાનો અને ઈદ-ઉલ-ફિત્રની રજાઓ વહેલી જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. બાંગ્લાદેશના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈંધણની અછતને કારણે બજારમાં ગભરાટ અને સંગ્રહખોરીને રોકવા માટે દૈનિક પેટ્રોલ-ડીઝલના વેચાણ પર મર્યાદા લાદવામાં આવી છે. ગેસની અછતને કારણે દેશની ખાતર ફેક્ટરીઓમાં ઉત્પાદન અટકી પડ્યું છે.વિયેતનામ સરકારે પણ કંપનીઓના કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ આપવાની સલાહ આપી હતી જેથી મુસાફરીમાં વપરાતા ઈંધણની બચત થઈ શકે.

LEAVE A REPLY