
મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે આશા વ્યક્ત કરી છે કે ઈરાન સાથેની સતત વાતચીતને પરિણામે હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા ભારતીય જહાજો માટે રસ્તો સરળ બની રહ્યો છે. બુધવારના છેલ્લા અહેવાલો મુજબ એલપીજી ભરેલા ત્રણ ટેન્કર જહાજો હોર્મુઝ માર્ગેથી પસાર થઈ ભારત, ગુજરાતના કાંઠે સુરક્ષિત રીતે પહોંચી ગયાં હતાં.
‘ફાયનાન્શિયલ ટાઈમ્સ’ ને આપેલા ઇન્ટરવ્યુમાં જયશંકરે જણાવ્યું હતું કે, ઈરાન સાથેના તેમના સંપર્કથી હકારાત્મક પરિણામો મળ્યા છે અને હજુ પણ અનેક ભારતીય જહાજો આ માર્ગમાંથી પસાર થવાના બાકી હોવાથી આ ચર્ચાઓ ચાલુ રહેશે.
જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય જહાજોને પસાર થવા દેવા માટે ઈરાન સાથે કોઈ ‘બ્લેન્કેટ એરેન્જમેન્ટ’ (સામૂહિક સમજૂતી) કરાઈ નથી, પરંતુ દરેક જહાજને વ્યક્તિગત ધોરણે મંજૂરી મળી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કોઈ લેવડ-દેવડનો મુદ્દો નથી, પરંતુ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પ્રભાવ છે. તેમણે કહ્યું હતું કે, “ભારત અને ઈરાન વચ્ચે મજબૂત સંબંધો છે અને અમે આ યુદ્ધને અત્યંત કમનસીબ માનીએ છીએ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાની પ્રમુખ મસૂદ પેઝેયન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના ગણતરીના કલાકોમાં જ ઈરાને ભારતના બે LPG જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી હતી. અહેવાલો અનુસાર, હજુ પણ પર્શિયન ગલ્ફના પશ્ચિમ ભાગમાં ભારતના ૨૨ જહાજો ફસાયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ ચાર જહાજો સુરક્ષિત રીતે યુદ્ધ ક્ષેત્ર પાર કરી શક્યા છે.
વિદેશપ્રધાનને પૂછાયું હતું કે યુરોપિયન દેશો પણ ભારતની આ પદ્ધતિ અપનાવી શકે ખરા, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે દરેક દેશના સંબંધોની પોતાની આગવી ઓળખ અને ગુણવત્તા હોય છે. જોકે, તેમણે આ બાબતે ભારતનો અભિગમ યુરોપિયન યુનિયન સાથે શેર કરવાની તૈયારી બતાવી હતી.
પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે ભારતીય ધ્વજવાળું ટેન્કર ‘જગ લાડકી’ લગભગ 80,886 મેટ્રિક ટન (MT) ક્રૂડ ઓઇલ લઈને બુધવાર, 18 માર્ચે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું. મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે ઇરાનને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી છે ત્યારે ભારતનું આ ત્રીજુ માલવાહક જહાજ ભારતીય બંદર પર પહોંચ્યું હતું.
અગાઉ મંગળવારે LPG કેરિયર ‘નંદા દેવી’ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે પહોંચ્યું હતું. જે 46,500 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું હતું. તે પહેલા સોમવારે LPG વહન કરતું બીજું જહાજ ‘શિવાલિક’ મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું.
મુન્દ્રા પોર્ટનું સંચાલન કરતી કંપની અદાણી પોર્ટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જગ લાડકી દ્વારા વહન કરાયેલ ક્રૂડ ઓઇલ સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી મેળવવામાં આવ્યું હતું અને ત્યાંના ફુજૈરાહ પોર્ટ પર લોડ કરવામાં આવ્યું હતું. લંબાઈ 274.19 મીટર અને બીમ 50.04 મીટર ધરાવતા આ ટેન્કરનું ડેડવેઇટ ટનેજ આશરે 164,716 ટન અને ગ્રોસ ટનેજ લગભગ 84,735 ટન છે
ભારત તેની ક્રૂડ ઓઇલની લગભગ 88 ટકા, કુદરતી ગેસની 50 ટકા અને LPGની 60 ટકા જરૂરિયાત આયાત મારફત પૂરી કરે છે. 28 ફેબ્રુઆરીએ ઇરાન પર યુએસ-ઇઝરાયલના હુમલા અને તેહરાનના બદલો પહેલાં ભારતની અડધાથી વધુ ક્રૂડ આયાત, લગભગ 30 ટકા ગેસ અને 85-90 ટકા LPG આયાત સાઉદી અરેબિયા અને UAE જેવા મધ્ય પૂર્વના દેશોમાંથી થતી હતી.
આ સંઘર્ષને કારણે ગલ્ફ એનર્જી સપ્લાય માટેનો મુખ્ય ટ્રાન્ઝિટ રૂટ હોર્મુઝ સ્ટ્રેટની ઇરાને નાકાબંધી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં, પશ્ચિમી પર્સિયન ગલ્ફમાં 611 ખલાસીઓ સાથે 22 ભારતીય ધ્વજવાળા જહાજો ફસાયેલા છે અને તેમના માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે












