ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. શ્રી નીલકંઠ વર્ણીની આ પ્રતિમા એ જ યોગ મુદ્રામાં છે, જેમાં તેઓ નેપાળના મુક્તિનાથમાં તેમની લાંબી તપસ્યા દરમિયાન બિરાજમાન થયાં હતાં. આ પ્રતિમા આપણને તે પવિત્ર યાત્રા અને કઠોર ધ્યાનની યાદ અપાવે છે.

પંચધાતુમાંથી નિર્મિત આ અદ્વિતીય નીલકંઠ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા છે, જે ભગવાનના અતિ દુર્લભ તપસ્યા જીવનને પ્રતિબિંબિત કરતી ‘એક પગ પર અડગ’ અવસ્થામાં સ્થિત છે. આ પ્રતિમાનું નિર્માણ આશરે એક વર્ષના અવિરત પ્રયત્નોથી પૂર્ણ થયું હતું. પંચધાતુમાંથી બનેલી આ કૃતિમાં મુખ્યત્વે કાંસ્ય ધાતુનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને દૃઢતા અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે. આ ઐતિહાસિક અવસરે યુકે, ફ્રાન્સ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી સંસ્થાના ૩૦૦થી વધુ સંતો પધાર્યા હતાં. આ ઉપરાંત લંડન, ન્યૂયોર્ક, દુબઈ, સિડની, કેપ ટાઉન અને હોંગકોંગથી મોટી સંખ્યામાં હરિભક્તો પણ આવ્યાં હતાં.

આ પાવન મહોત્સવનો શુભ પ્રારંભ 25 માર્ચની પ્રભાતે ‘શ્રી નીલકંઠવર્ણી વિશ્વ શાંતિ મહાયજ્ઞ’ સાથે ભવ્ય રીતે થયો હતો. દિલ્લી અક્ષરધામના વિશાળ અને પવિત્ર પ્રાંગણમાં ષોડશોપચાર પૂજનવિધિ દ્વારા આ વૈદિક અનુષ્ઠાન શ્રદ્ધાભાવે સંપન્ન કરવામાં આવ્યું હતું. તે બાદ મંદિર પરિસરમાં નીલકંઠવર્ણી મહારાજની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં પુરી અને કર્ણાટકના હરિભક્તોએ વિશેષ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ 19 માર્ચે દિલ્લી પધાર્યા હતાં. તેમના પાવન આગમન નિમિત્તે 21 માર્ચે એક વિશિષ્ટ સ્વાગત સભાનું ભવ્ય આયોજન કરાયું હતું. ૨૨ માર્ચે રવિવારની પવિત્ર સવારમાં પંચકુલા અને કુરુક્ષેત્ર ખાતે નવીન નિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠાના વિવિધ કાર્યક્રમો યોજાયાં હતાં.