વિશ્વભરમાં અનેક સ્થળે ચાલી રહેલાં વિવિધ યુદ્ધના પગલે ભારત સરકાર પણ દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા આયોજન કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે એસ-400 મિસાઈલ્સ તથા મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સહિતના રૂ. 2.38 લાખ કરોડના શસ્ત્ર-સરંજામ ખરીદવાની મંજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળની ડીફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ ભારતીય સેના માટે આધુનિક હથિયારો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ અંગે માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇન્ડિયન એરફોર્સ માટે મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એસ-400 લોન્ગ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ, રિમોટલી પાયલોટેડ સ્ટ્રાઈક એરક્રાફ્ટ તથા એસ-30 એરો એન્જિન માટેના સાધનો ખરીદવાની મંજૂરી અપાઈ છે. એએન32 તથા આઈએલ76 ટ્રાન્સપોર્ટ ફ્લીટના સ્થાને ઉપયોગમાં લેવાનારા મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી એરફોર્સની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.













