વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટ દિલ્હી-NCR વિસ્તારનું બીજું મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, જેના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરના ભારણને ઓછો કરવામાં મોટી મદદ મળશે. આ એરપોર્ટના પ્રથમ તબક્કાની ક્ષમતા વાર્ષિક અંદાજે 1.2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની છે. જેવર એરપોર્ટ માત્ર મુસાફરી માટે જ નહીં પરંતુ કાર્ગો અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ ઉત્તરપ્રદેશ અને આસપાસના રાજ્યો માટે મહત્ત્વનું સાબિત થશે. ભવિષ્યમાં આ એરપોર્ટનો વધુ વિસ્તાર કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ અવસરે વડાપ્રધાન મોદીએ યુદ્ધની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ‘સરકાર એવા દરેક પગલાં ભરી રહી છે જેથી ખેડૂતો પર કોઈ બોજ ન પડે. ભારત મધ્ય પૂર્વના યુદ્ધનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. આજે આખી દુનિયા ચિંતામાં છે, મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ઘણા દેશોમાં ખાવા-પીવાની વસ્તુઓ, પેટ્રોલ, ખાતર અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનું સંકટ ઊભું થયું છે અને ભાવમાં ઘણો વધારો થયો છે. દરેક દેશ આ સંકટનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારત પણ આ સ્થિતિથી પ્રભાવિત છે. ભારત મોટાભાગનું ક્રુડ ઓઇલ એવા વિસ્તારોમાંથી આયાત કરે છે જે આ સંઘર્ષથી પ્રભાવિત છે. તેથી સરકાર દરેક શક્ય પગલાં લઈ રહી છે જેથી આ સંકટનો બોજ સામાન્ય જનતા પર ન પડે. આપણે શાંત મનથી, ધીરજ અને એકતા રાખીને સાથે મળીને આ સંકટનો સામનો કરવાનો છે. આ સમગ્ર વિશ્વમાં મુશ્કેલી સર્જનારું સંકટ છે, આપણે પોતાના દેશની સૌથી વધુ ચિંતા કરવાની છે, અને એજ ભારતીયોની સૌથી મોટી તાકાત છે. દેશવાસીઓ મળીને આ પડકારનો સામનો કરી રહ્યા છે. લોકોને અફવાથી દૂર રહેવું જોઈએ.’