મોસ્કોમાં બ્રિટીશ દૂતાવાસની ઇમારત(Photo by ALEXANDER NEMENOV/AFP via Getty Images)

રશિયાએ સોમવારે જાસૂસીના આરોપસર એક બ્રિટિશ રાજદ્વારીને હાંકી કાઢ્યાં હતાં અને તેમને બે અઠવાડિયામાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.

ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ જણાવ્યું હતું કે જેન્સે વાન રેન્સબર્ગની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમને બે અઠવાડિયામાં રશિયા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે રશિયામાં બ્રિટિશ ચાર્જ ડી’અફેર્સને રશિયન વિદેશ મંત્રાલયમાં સમન્સ કરાયા હતાં અને બ્રિટિશ દૂતાવાસના રાજદ્વારી કર્મચારીઓમાંથી એકે દેશમાં પ્રવેશ કરતી વખતે જાણી જોઈને ખોટી માહિતી આપી હતી તેવા ખુલાસા બાદ સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. દેશની જાસૂસી પ્રવૃત્તિની કાર્યવાહી દરમિયાન FSBએ મોસ્કોમાં બ્રિટિશ દૂતાવાસની આડમાં યુકેની ગુપ્તચર હાજરી શોધી કાઢી હતી.

રશિયન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર FSB તપાસમાં જાણવા મળ્યું છે કે આ રાજદ્વારીએ તેમની વિઝા અરજીમાં જાણી જોઈને ખોટી માહિતી આપી હતી, જે રશિયન કાયદાનું સીધું ઉલ્લંઘન છે. વધુમાં રશિયાની સુરક્ષા માટે ખતરો ઉભો કરતી ગુપ્તચર અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં રેન્સબર્ગની સંડોવણીના સંકેતો મળ્યાં હતાં. અગાઉ જાન્યુઆરીમાં પણ બ્રિટિશ દૂતાવાસના સેકન્ડ સેક્રેટરીની જાસૂસી પ્રવૃત્તિઓના આરોપસર હાંકી કઢાયા હતાં.