છત્તીસગઢ સરકારે રાયપુર જિલ્લામાં 9 એપ્રિલ રાત્રે 6 વાગ્યાથી 19 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનનો બુધવારે આદેશ આપ્યો હતો. આ દરમિયાન જિલ્લાની તમામ સરહદો પણ સીલ રહેશે. મંગળવારે છત્તીસગઢમાં કોરોનાના નવા 9,921 કેસ સામે આવ્યા હતા અને 53 લોકોના મોત થયા હતા. રાજયમાં પહેલા વખત આટલી મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ આવ્યા છે.

સરકારના આદેશ મુજબ આ 11 દિવસોમાં મેડિકલની દુકાનો ખોલવાની પરવાનગી અપાશે. જ્યારે દૂધની દુકાનો સવારે 6થી 8 અને સાંજે 5થી સાડા 6 સુધી ખોલી શકાશે. દૂધની દુકાનોમાં ખરીદી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. લોકડાઉન દરમિયાન તમામ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક તેમજ પ્રવાસન કાર્યક્રમો પણ બંધ રહેશે.