દેશ-વિદેશમાં આવેલાં અનેક કેન્દ્રો દ્વારા અધ્યાત્મ અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે સેવારત આંતરરાષ્ટ્રિય સંસ્થા અનુપમ મિશન, યુ.કે.ને તેના ડેન્હમ, બકિંગહામશાયર સ્થિત કેમ્પસમાં મંદિર અને સામુદાયિક સેવાકેન્દ્રની બાજુમાં એક અત્યાધુનિક હિન્દુ ક્રિમેટોરીયમનું નિર્માણ કરવા માટે મંજૂરી મળી છે. હવે નજીકના ભવિષ્યમાં જ અનુપમ મિશનના કેમ્પસમાં સંભવત: સમગ્ર યુરોપના સૌ પ્રથમ હિન્દુઓ માટેના પરપઝ-બિલ્ટ ક્રિમેટોરિયમનું નિર્માણ કરાશે જેનો શુભારંભ બે વર્ષના સમયગાળામાં કરવામાં આવશે.

16 ડિસેમ્બરે જાહેર કરાયેલા આ અંગેના નિર્ણયમાં પ્લાનિંગ ઇન્સ્પેક્ટરેટ દ્વારા ગ્રીન બેલ્ટ ની જમીન પર સ્મશાનગૃહની માંગને ન્યાયી ઠેરવીને આ ક્રિમેટોરિયમની જરૂરિયાત માટેના ખૂબ જ વિશિષ્ટ સંજોગોને સ્વીકારવામાં આવ્યા હતા. પ્લાનિંગ ઇન્સ્પેક્ટરેટ પોતાના અહેવાલમાં નોંધ્યું હતું કે, આસ્થા અને સાંસ્કૃતિક કારણોસર, નોર્થ અને વેસ્ટ લંડન અને આસપાસની કાઉન્ટીઓમાં વસતો હિન્દુ સમુદાય અંતિમસંસ્કાર અને અગ્નિસંસ્કાર માટે તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ તથા પરંપરાઓનું સંપૂર્ણ પાલન કરવાની તકથી વંચિત છે. ખાસ કરીને, હાલમાં આ વિસ્તારમાં આવેલા ક્રિમેટોરિયમમાં કાર પાર્કિંગ અને જરૂરી અન્ય સગવડોના અભાવના કારણે આ ક્રિમેટોરિયમ્સમાં હિન્દુ સંસ્કારો અને ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમસંસ્કાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમજ આવાં ક્રિમેટોરિયમ્સ પણ પૂરતા પ્રમાણમાં નથી. તેથી હિન્દુ સમુદાય માટે ગુણવત્તા ધરાવતા, શુભ અને યોગ્ય ક્રિમેટોરિયમની સગવડ આપવા દરખાસ્તો કરવામાં આવી હતી, પરંતુ, હાલમાં આવી દરખાસ્તો આ દેશમાં ગ્રાહ્ય ગણવામાં આવતી નથી.

હિન્દુઓ માટે ખૂબ જ આનંદની વાત એ છે કે આ હિન્દુ સ્મશાનગૃહની ડિઝાઇન જરૂરી સંલગ્ન સુવિધાઓ અને ખાસ કરીને હિંદુ સમુદાયની જરૂરિયાતો પૂરી થાય તે રીતે આર્કિટેક્ચરલ રીતે તૈયાર કરવામાં આવી છે. ઇમારતની ડિઝાઈનના પ્રસ્તાવમાં બે વેઇટીંગ રૂમ, અગ્નિસંસ્કાર પૂર્વેની વિધિ માટે બે અલાયદા ધાર્મિક રૂમ, એક વિશાળ સભા હોલ અને સ્મશાનગૃહનો સમાવેશ થાય છે. એક અલગ કેન્ટિન બિલ્ડીંગ પણ હશે, જેમાં ડાઇનિંગ, સીટીંગ અને સ્નાન કરવા માટેની સગવડો છે. આ સુવિધાને કારણે સ્વજનના અગ્નિસંસ્કાર કર્યા બાદ તેમના સગાં-સંબંધીઓ માટે ધાર્મિક સ્નાન તેમજ ધાર્મિક ભોજન પણ શક્ય બનશે. આ સ્મશાનગૃહ ખાતે વિશાળ કારપાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.

હિન્દુ સમુદાય વતી અનુપમ મિશને કરેલી અપીલની સુનાવણી દરમિયાન લોર્ડ જીતેશ ગઢિયા અને બોબ બ્લેકમેન (એમ.પી.)એ અરજીની તરફેણમાં બોલતાં કહ્યું હતું કે ‘’આ દરખાસ્તના સમર્થનમાં 2,000થી વધુ લોકોની સહીઓ પ્રાપ્ત થઈ હતી.’’

આ નિર્ણયનું સ્વાગત કરતાં અનુપમ મિશનના અધ્યક્ષ પરમ પૂજ્ય જશભાઇ સાહેબજીએ કહ્યું હતું કે: “આ મહત્ત્વપૂર્ણ નિર્ણય દ્વારા અનુપમ મિશન-યુ.કે.ને હિન્દુ સમુદાયની સેવા કરવાની જે તક મળી છે તેને અમે આવકારીએ છીએ. આપણાં હિન્દુ રીતિ-રિવાજો અને ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમસંસ્કાર કરવાથી મૃતકના આત્માને મુક્તિ મળે છે અને આવા સંવેદનશીલ સમયમાં પરિવારજનોને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ડેન્હામમાં અમારા વિશાળ, ૧૫ એકરમાં ફેલાયેલા પ્રાકૃતિક અને આધ્યાત્મિક કેમ્પસ-બ્રહ્મજ્યોતિમાં નવા બનેલા મંદિરની આધુનિક  સુવિધાઓ સાથે, આ સ્મશાન ગૃહ માનવસેવા માટે એક આદર્શ સ્થાન પૂરું પાડશે. અમે અમારા આ વિઝનને સમગ્ર સમુદાય સુધી પહોંચાડવા માટે તમામ હિંદુ સંગઠનો સાથે કામ કરવા માટે પણ તૈયાર છીએ.”

લોર્ડ જીતેશ ગઢિયાએ ઉમેર્યું : “યુ.કે.માં હિન્દુ સમુદાય માટે આ એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે. આપણામાંનાં ઘણાંએ આપણા સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા અને આપણી સાંસ્કૃતિક અને સામાજિક જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ અને વધુ સારી સુવિધાઓ મળે તે હેતુથી હિન્દુ ક્રિમેટોરિયમના નિર્માણ માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી છે. હું અનુપમ મિશન-યુ.કે.ને આવાં આયોજન માટેની અરજી તથા અપીલ માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ અભિનંદન આપું છું. પ્લાનિંગ ઇન્સપેક્ટર ખૂબ જ વિશિષ્ટ સંજોગોને જાણે છે અને તેઓનો આવકારદાયક ચુકાદો હિન્દુ સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા માટેનો છે, જે આનંદની બાબત છે. હું આશા રાખું છું કે, આ નિર્ણય હિન્દુ, શીખ અને જૈન વસ્તી ધરાવતા વિસ્તારોમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની બાબતોને ધ્યાનમાં લેવા ઉપયોગી બનશે.”

અનુપમ મિશનની આંતરરાષ્ટ્રિય સમિતિના પ્રમુખ શ્રી સતીષભાઈ ચટવાણીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’અમારા ગુરૂવર્ય સાહેબજી કહે છે કે માનવ સેવા શ્રેષ્ઠ સેવા છે અને હિન્દુ ધર્મના 16 સંસ્કારોમાંનો છેલ્લો સંસ્કાર અંતિમ સંસ્કાર છે. જે સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે થાય તે ખૂબ જ અગત્યનું છે. આ સ્મશાનગૃહ નોર્થ-વેસ્ટ લંડનના લોકો ઉપરાંત ઓક્ષફર્ડ, બર્મિંગહામ, સ્લાઉ, હેઇઝ અને સાઉથ લંડન વિસ્તારના લોકોની જરૂરીયાતને સંતોષી શકશે. આ સેવા વહેલા તે પહેલાના ધોરણે સમગ્ર હિન્દુ, જૈન અને શિખ સમુદાયના લોકોને અપાશે તેમ જ બીજા સમુદાયના લોકો પણ ઉપયોગ કરી શકશે. દાહસંસ્કાર માટે ઇલેક્ટ્રીક ભઠ્ઠીનો ઉપયોગ કરાશે.’’

પૂજ્ય સાહેબજીએ આ પ્રસંગે અનુપમ મિશનની આંતરરાષ્ટ્રિય સમિતિના પ્રમુખ શ્રી સતીષભાઈ ચટવાણી, અનુપમ મિશન-યુ.કે.ના પ્રમુખ શ્રી વિનુભાઈ નકારજા, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પોપટ, મંત્રી શ્રી સાધુ હિંમતદાસજી અને સૌ સંતો, હરિભક્તોને પોતાના આશીર્વાદ પાઠવીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.