પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડો. યુવા અય્‍યર : આયુર્વેદિક ફિઝિ‌શિયન

ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ શરીરમાં ફેરફાર અનુભવાય છે. ગરમી, બાફ, પરસેવાથી થતી અકળામળથી છુટકારો મળતા આહલાદક અનુભવાય તે સ્વાભાવિક છે. પરંતુ હવાની ઠંડક અને શુષ્કતાની આડઅસર ચામડી પર તુરંત થવા લાગે છે. હવાનો સ્પર્શ મનને તો આનંદ આપે, પરંતુ ઠંડક અને લુખ્ખાશથી ચામડીને જરૂરી આદ્તા ન મળવાથી ચામડીમાં ડ્રાયનેસ, ચીરા પડવા, ચામડી ઉખડવી, હોઠ ફાટી જવા તો ક્યારેક લોહી નીકળવાની તકલીફ થવા લાગે છે.

આથી જ શિયાળાની શરૂઆત થતાં જ માથાનાં વાળથી લઇને પગની એડી સુધી ખાસ માવજત કરવાની જરૂર પડે છે. આ વાત સહુ કોઇ જાણે છે. ખાસ કરીને સ્ત્રીઓ તો આ વિશે વધુ ચીવટ લેવાનું પસંદ કરે છે. કેમ કે, લુખ્ખા – બરછટ વાળ સહેલાઇથી તૂટી જાય છે. વાળના મૂળ નબળા થઇ, વાળ ઉતરવાની સમસ્યા વધી જાય છે. વાળનાં છેડા બરછટ થઇ ફાટી જતાં હોય છે. આ બાબત જો યોગ્ય દરકાર રાખવામાં ન આવે તો થોડા અઠવાડિયાઓમાં જ વાળનો જથ્થો ઘટી ગયેલો અનુભવાય છે.

તેવી જ સમસ્યા ચામડીમાં પણ અનુભવાય છે. ચામડીની સુંવાળપ અને ચમક માટે ચામડીનાં રોમછિદ્રોમાંથી ઝરતો તૈલી પદાર્થ જવાબદાર છે. પરંતુ ઠંડી હવાનાં સંપર્કથી ચામડીના કોષો સંકોચાય છે, જેની આડઅસરરૂપે તૈલી પદાર્થનું પ્રમાણ ઘટવાથી ચામડીમાં લુખ્ખાશ આવવી, ચીરા પડવા, ખંજવાળ આવવાની સમસ્યા સર્જાય છે. ખાસ તો શરીરનો જે ભાગ બહારની હવાના સંપર્કમાં વધુ આવતો હોય જેમ કે, ચહેરો, હાથ-પગના પંજા, પગની એડીની ચામડી લુખ્ખી થઇ, ફાટવાની સમસ્યા થતી હોય છે.

સામાન્ય રીતે ચામડીની લુખ્ખાશને દૂર કરવા માટે વેસેલિન, કોલ્ડક્રીમ, મોશ્ચરાઇઝર, બોડીલોશન જેવા પ્રસાધનોનો ઉપયોગ હાથવગો અને સરળ હોવાથી થતો હોય છે. પરંતુ જ્યારે પ્રસાધનો વાપરવા છતાં પણ ડ્રાયનેસ, ચીરા, વાઢિયામાં રાહત ન મળે ત્યારે કશું વિશેષ કરવાની જરૂરિયાત અનુભવાય છે. આવા સમયે પરંપરાગત રીતે વપરાતા તલનું તેલ, નારિયેળનું તેલ કે પછી દિવેલની માલિશ પણ આપણે કરતાં હોઇએ છીએ. તેમ છતાં તેલ લગાવીને રાખવું તો શક્ય નથી હોતું. તેલથી ધૂળ ચોંટવી, ચીપ-ચીપ થવું અનુકૂળ આવતું નથી. આથી તેલ લગાવીને થોડો સમય રાખી નહાવા કે તેલ દૂર કરવામાં આવતાં ફરી પાછી ડ્રાયનેસ અનુભવાય છે. આ બધા જ અનુભવો શિયાળાની મજા ઓછી કરે છે.

વિન્ટર સ્કીન કેર માટે જરૂરી ટિપ્સ
આગોતરી તૈયારી – શિયાળો શરૂ થઇ ગયા બાદ ત્વચામાં રૂક્ષતા, ચીરા પડવા, વાઢિયા પડવાનાં શરૂ થાય ત્યાર બાદ ઉપાય શરૂ કરવાથી ધાર્યું પરિણામ મળશે નહીં. શિયાળો શરૂ થતાં જ ત્વચાની રૂક્ષતા અટકાવે તેવા ઉપાયના ભાગરૂપે રાત્રે પગનાં તળિયા – એડી પર દિવેલ, નાયિરેળનું તેલ અથવા કોકમનાં તેલથી માલિશ કરી કોટન સોક્સ પહેરવાનું શરૂ કરવાથી વાઢિયા પડવાની શરૂઆત જ અટકાવી શકાશે.

• ન્હાવામાં નવશેકું ગરમ પાણી વાપરો – સ્હેજ ઠંડીની શરૂઆત થતાં જ ગિઝરની સગવડથી અગવડ જ વધે છે. કેમ કે ગરમ પાણીનાં સંપર્કથી ત્વચાની પ્રાકૃતિક ચીકાશ દૂર થઇ જાય છે. આથી ત્વચા વધુ લુખ્ખી થઇ જાય છે. ઠંડી વધુ હોય ત્યારે નવશેકા હૂંફાળા પાણીથી જ ન્હાવું જોઇએ. તેમ કરવાથી ચામડી – વાળમાં આવતી શુષ્કતા રોકી શકાશે.

• તેલ માલિશ – જો આપની વાયુ કે કફ પ્રકૃતિ હોય તો ન્હાતા પહેલા તલનાં તેલની માલિશ કરી, 10થી 15 મિનિટ જેટલો સમયગાળો ઓછામાં ઓછો પસાર કરવો જરૂરી છે. જેથી તેલ ચામડીના છિદ્રોથી ત્વચામાં ઉતરી શકે. ત્યાર બાદ હાર્ડ કેમિકલવાળા સાબુ, બોડીવોશનો ઉપયોગ ટાળવો. જો તમે કપૂરકાચલીનું ચર્ણ, લીમડાનો પાવડર, મુલતાની માટી, ગુલાબજળ, કપૂર ભેળવીને બનાવેલા ઉબટનનો ઉપયોગ કરશો તો, ત્વચાની આવશ્યક સફાઇ સાથે કોમળતાને પણ જાળવી શકશો. સમયનો અભાવ રહેતો હોય તો આ મિશ્રણ બનાવીને રાખી શકાય.

• ઉફબટનથી થતાં ફાયદા – વર્તમાન સમયમાં ઉબટનનું સ્થાન વિવિધ જાતનાં સ્ક્રબીંગ ક્રિમ અને પેકે લઇ લીધું છે. પારંપરિક ઉબટન વાપરવામાં વસ્તુઓ, લાવવી, બનાવવાની ઝંઝટ અનુભવાય છે. પરંતુ જો તમે કેમિકલયુક્ત નેચરલ સ્ક્રબ વાપરવા માંગતા હોવ તો થોડી ચીવટ અને આગોતરી તૈયારીથી શક્ય બને છે. સામાન્ય રીતે તો એવા કુદરતી પદાર્થો કે જે ખરબચડા હોય, જેમાં ચામડીના ડેડ સેલને દૂર કરી, ચામડીમાં સુંવાળપ અને રૂઝ લાવવાનાં ગુણ હોય તેવા કોઇ પણ પદાર્થો સ્ક્રબીંગ માટે વાપરી શકીએ.

• મગની દાળ, મસૂરની દાળ, ચણાની દાળને હલકી શેકી મિક્સરમાં કકરી દળી લઇ તેમાં કપૂર ,તુલસીનાં પાનની સુકવણીનો ભુક્કો, નારિયેળનું તેલ ઉમેરી રૂંવાટીની અવળી દિશામાં ચામડી પર ઘસી અને માલિશ કરવાથી રૂક્ષ થઇ ગયેલી ત્વચાનાં ડેડ સેલ, મેલ નીકળી જવાથી ચામડી સ્વચ્છ થાય છે. ત્વચાનાં રોમછિદ્રો ખુલ્લા થવાથી સ્કીનકેર માટે જે પણ લગાવવામાં આવે તે લોશન, તેલ, મોશ્ચરાઇઝર ત્વચામાં એબઝોર્બ થઇ શકે છે. જો ત્વચા પર અગાઉ લગાવેલા ક્રિમ- લોશન, મેલ, ડેડ સેલની પરત જામેલી હોય, ત્વચા યોગ્ય રીતે સાફ ન થઇ હોય તો ત્યાર બાદ કરવામાં આવતાં એપ્લીકેશનનો ફાયદો ત્વચાને મળશે નહીં. આથી સમયાંતરે ઉબટન કરતાં રહેવાથી ત્વચાની શુષ્કતામાં ફાયદો થાય છે.

• મોઇશ્ચરાઇઝીંગ માટેનો યોગ્ય સમય – ન્હાયા પછી તરત ત્વચા જ્યારે થોડી ભીની હોય ત્યારે મોઇશ્ચરાઇઝર અથવા બદામનું તેલ, ઓલીવ ઓઇલ અથવા પેરાફીન વગરનું શુદ્ધ નારિયેળનું તેલ ત્વચા પર લગાવવાથી રોમછિદ્રો ઉપર તૈલી પદાર્થની પરત ત્વચાની ભીનાશ લાંબો સમય ટકાવી રાખે છે.

• શુષ્કતા દૂર કરવા પ્રવાહી ખોરાક અસરકારક છે. – માત્ર ત્વચા પર ચીકાશયુક્ત કે તૈલી લોશન – ક્રીમ લગાવવું પર્યાપ્ત નથી. શિયાળુ વાતાવરણથી શરીરમાં વાયુદોષ વધુ પ્રકુપિત થતો હોય છે. વાયુદોષનો ગુણ હલકાપણું અને રૂક્ષતાનો છે. આથી શિયાળા દરમિયાન પચવામાં સરળ હોય તેવા ચીકાશયુક્ત અને પ્રવાહી ખોરાક – પીણાનો ઉપયોગ વધારવો. આ માટે ટમેટા, કાકડી, પાલક – મેથીની ભાજી, કોબીચ, દૂધી – તૂરિયા – ગલકા જેવા શાકભાજી – સલાડનો ઉપયોગ વધુ કરવો. તરબૂચ, ટેટી, નારંગી, અનાનસ જેવા ફળો, સુકૂ કે તાજું ટોપરું, તલ, શિંગ, બદામ,અવાકાડો, અખરોટ જેવા તૈલી પદાર્થોનો રોજ-બ-રોજનાં ખાવામાં ઉપયોગ કરવાથી ચામડીને ચળકતી અને કોમળ રાખવા માટે જરૂરી હાઇડ્રેશન અને ચીકાશ મળી રહે છે.

અનુભવસિદ્ધઃ સ્ત્રીઓ શિયાળામાં હાથ- પગમાં લુખ્ખાશ, ચીરા પડી જવાની ફરિયાદ લઇને આવતી હોય છે. તેમને હાર્ડ કેમિકલવાળા સોપ્સ ન્હાવા, વાસણ – કપડાં ધોવામાં ન વાપરવા જણાવું છું. બને તો કામ કરતાં સમયે રબ્બરનાં મોજાં પહેરવા કહું છું. આ સાથે જો કાયમી કબજિયાત રહેતી હોય તો રાત્રે જમ્યાનાં 2 કલાક બાદ એરંડભૃષ્ટ હરડે ટેબલેટ અથવા પાવડર નવશેકા પાણી સાથે લઇ કબજિયાત દૂર કરવા જણાવું છું. •હથેળી – પગનાં તળિયે દિવેલ રાતભર લગાવવા કહું છું. માત્ર આવા સસ્તા – સરળ ઉપાયથી વર્ષોથી થતાં વાઢિયા અને હથેળીનાં ચીરા મટે છે. કેમ કે કબજિયાતને દૂર કરવાથી વાયુથી થતી રૂક્ષતા દૂર કરવી જરૂરી હોય છે.માત્ર કોસ્મેટિકસથી ત્વચાની લુખ્ખાશ દૂર થતી નથી.

LEAVE A REPLY

1 × two =