ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદમાં મતદાન મથક પર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પોતાનો મત આપ્યો. હતો. (ANI Photo)

ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે મંગળવારે, સાત મેએ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 56.83 ટકા મતદાન થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં નીરસ મતદાન થયું હતું. અમરેલીમાં 46.11%, પોરબંદરમાં 48.73%, ભાવનગરમાં 48.59%, સુરેન્દ્રનગરમાં 53.43% જામનગરમાં 52.36%, જૂનાગઢમાં 57.42% અને રાજકોટમાં 58.28% મતદાન થયું છે. જ્યારે કચ્છ બેઠક પર 48.96% મતદાન થયું હતું.

મતદારોએ કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહ તેમજ તેમના કેબિનેટ સાથીદારો મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓના રાજકીય ભાવિને ઇવીએમમાં સીલ કર્યા હતાં. મનસુખ માંડવિયા પોરબંદર અને પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

ચૂંટણી પંચ ડેટા મુજબ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી-અનામત વલસાડ બેઠક પર સૌથી વધુ 68.12 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી સૌથી ઓછું 45.59 ટકા મતદાન થયું હતું. અમરેલી જિલ્લાના મતદાન મથક પર તૈનાત 45 વર્ષીય મહિલા મતદાન અધિકારીનું કથિત હાર્ટ એટેકથી ફરજ પર મોત થયું હતું.

વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ તથા ગૌતમ અદાણી સહિતના કોર્પોરેટ અગ્રણીઓએ મતદાન કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી.
રાજ્યની લોકસભાની કુલ 25 બેઠકો માટે 266 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા. આ વખતની ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં 2014 અને 2019ની પોતાની ક્લિન સ્વીપનું પુનરાવર્તન કરવાની આશા રાખે છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે તેને આશા છે કે વિપક્ષી મતોના વિભાજનને રોકવા માટેનું આ પગલું ભાજપને 2014 અને 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરતા અટકાવશે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ 50,788 મતદાન મથકો ઊભા કરાયા હતાં. રાજ્યમાં 2.56 કરોડ પુરૂષો, 2.41 કરોડ સ્ત્રીઓ અને 1,534 થર્ડ જેન્ડર સહિત કુલ 4.97 કરોડ મતદાતા હતાં. શહેરી વિસ્તારોમાં 17,275 મતદાન મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં 33,513 મતદાન મથકો બનાવવામાં આવ્યાં હતાં. ચૂંટણી પંચ (EC)એ કહ્યું હતું કે તેને રાજ્યમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 50,960 બેલેટ યુનિટ (BU), 49,140 કંટ્રોલ યુનિટ (CUs) અને 49,140 VVPAT તૈનાત કર્યા છે.

હીટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ જિલ્લાઓમાં ડ્રાય ડે જાહેર કરાયો હતો. મતદાનના દિવસે હીટવેવની શક્યતાને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પૂરતો છાંયો પૂરો પાડવાની વ્યવસ્થા કરાઈ હતી. મેડિકલ કીટ, આવશ્યક દવાઓ અને ORS સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલીમાં છે. નવસારીમાં સૌથી વધુ 22 લાખ મતદારો છે, જ્યારે સૌથી ઓછા ભરૂચમાં છે. સહીમાં ગેરરીતિના કારણે કોંગ્રેસના નિલેશ કુંભાણીનું નોમિનેશન નામંજૂર થયા બાદ સુરતમાંથી મુકેશ દલાલ બિનહરીફ જીત્યા થયા હતા

ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ભાજપને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો હતો. રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું હતું કે રાજા-રજવાડાઓએ અંગ્રેજો અને અન્ય વિદેશી આક્રમણકારો સાથે “રોટી અને બેટી” વ્યવહાર કર્યાં હતા. રૂપાલા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સામે છે. ધાનાણીએ 2002ની વિધાનસભા ચૂંટણીમાં રૂપાલાને હરાવ્યા હતાં.

આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસને 24 બેઠકો અને આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે. કોંગ્રેસે આ બેઠકો પર ચાર વર્તમાન અને આઠ ભૂતપૂર્વ ધારાસભ્યો સહિતના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, AAPને ભાવનગર અને ભરૂચ આપવામાં આવી છે.

ભાજપ માટે ગઢ ગણાતા ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાન મોદી અને શાહ અમિત શાહે સંભાળી હતી. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સ્ટાર પ્રચારકોમાં હતા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં એક રેલીને સંબોધિત કરી હતી. ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ અને નિર્મલા સીતારમણ તથા કોંગ્રેસ તરફથી અશોક ગેહલોત, શશિ થરૂર, અભિષેક સંઘવી અને પવન ખેરાએ પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના AAPના પ્રચારમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન તેમજ વરિષ્ઠ નેતાઓ સંજય સિંહ અને ગોપાલ યાદવની રેલીઓ જોવા મળી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં જેલમાં રહેલા દિલ્હીના મુખ્યપ્રધાનના પત્ની સુનીતા કેજરીવાલે પણ ભરૂચમાં રોડ શો કર્યો હતો.

LEAVE A REPLY

three × 1 =