'Dekho Tera Thar' orders fueling violence in Manipur
મણિપુરના કેટલાક જિલ્લાઓમાં તોડફોડ અને આગચંપીના બનાવો બન્યા હતા (ANI Photo)

ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં આદિવાસીઓ અને બહુમતી મૈતેઈ સમુદાય વચ્ચેની હિંસા વધુ વકરતા રાજય સરકારે ગુરુવારે આત્યંતિક કેસોમાં ‘શૂટ એટ સાઈટ’ના આદેશ જારી કર્યા હતા. ઉગ્ર હિંસાને પગલે ગામડાઓમાંથી 9,000થી વધુ લોકો વિસ્થાપિત બન્યાં છે. વ્યાપક રમખાણોને કાબૂમાં લેવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની 50 ટુકડી તૈનાત કરવી પડી હતી. રાજ્ય સરકારે ગુરુવારે નિવૃત્ત IPS અધિકારી અને CRPFના ભૂતપૂર્વ વડા કુલદિપ સિંહની સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરી છે.

હિંસાની ગંભીરતા ધ્યાનમાં લઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ સાથે વાતચીત કરી હતી અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી. અમિત શાહે પડોશી રાજ્યો નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયો, મિઝોરમના સીએમ જોરામથાંગા અને આસામાના સીએમ હિમંતા બિસ્વા સરમા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર મણિપુરની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને નજીકના રાજ્યોમાંથી અર્ધલશ્કરી દળોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે

મૈતેઇ સમુદાયનું પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જીરીબામ અને બિષ્ણુપુર જિલ્લાઓ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી. ઇમ્ફાલ ખીણના વિસ્તારોમાં કુકી આદિવાસીઓના ઘરોની તોડફોડ કરવામાં આવી હતી અને તેમને ભાગી જવાની ફરજ પડી હતી. ગઇરાત્રે પૂજા કેટલાંક સ્થળોને પણ આંગ ચાપવામાં આવી હતી.  કાંગપોકપી જિલ્લાના મોટબુંગ વિસ્તારમાં 20થી વધુ ઘરોને આગને હવાલે કરાયા હતા.

મૈઇતી સમુદાય અને આદિવાસીઓ વચ્ચેની હિંસાની શરૂઆત બુધવારે થઈ હતી. બહુમતી મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના પગલાનો વિરોધ કરવા નાગા અને કુકી આદિવાસીઓએ ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કર્યું તે પછી બંને પક્ષો એકબીજા પર હુમલા અને વળતા હુમલા કરી રહ્યાં છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આર્મી અને આસામ રાઈફલ્સે ચુરાચંદપુર વિસ્તારાના ખુગા, ટેમ્પા, ખોમૌજનબ્બામાં ફ્લેગ માર્ચ કરી હતી. ગુરુવારે ઇમ્ફાલ વેલીના મંત્રીપુખરી, લામ્ફેલ તથા કાકચિંગ જિલ્લામાં સુગનુમાં પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

મણિપુરમાં મૈતેઇ સમુદાયની વસ્તી 53 ટકા છે અને આદિવાસીઓનું પ્રમાણ 40 ટકા છે. બિનઆદિવાસી મૈતેઈની અનુસૂચિત જનજાતિની માગણીનો વિરોધ કરવા માટે બુધવારે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણીપુરએ આદિવાસી એક્તા માર્ચનુંમ આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન ચુરાચંદપુર જિલ્લાના તોરબુંગ વિસ્તારમાં સશસ્ત્ર ટોળાએ કથિત રીતે મૈતેઈ સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો. તેનાથી વળતા હુમલા થયા હતા અને હિંસા આખા રાજ્યમાં ફેલાઈ હતી.

LEAVE A REPLY

9 − 3 =