કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) સાથે સંકળાયેલ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના સંદર્ભમાં સીબીઆઇએ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાન સામે કેસ દાખલ કર્યો છે. છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો હેઠળ આ બંને ભાઇઓ હાલમાં જેલમાં છે.

સીબીઆઇના જણાવ્યા અનુસાર કપિલ અને ધીરજ વાધવાને રૂ.14,000 કરોડ રૂપિયાના નકલી હોમ લોન એકાઉન્ટ ખોલાવ્યા હતાં અને ભારત સરકાર પાસેથી રૂ.1,880 વ્યાજ સબસિડીનો લાભ લીધો હતો. સરકારે દેશના તમામ લોકો માટે મકાન સુનિશ્ચિત કરતી ઓક્ટોબર, 2015માં પીએમએવાય સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હોમ લોન આપવામાં આવે છે અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજમાં સબસિડી આપવામાં આાવે છે. વ્યાજમાં સબસિડીનો દાવો હોમ લોન આપતી ડીએચએફએલ જેવી નાણા સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

સીબીઆઇના જણાવ્યા અનુસાર ડીસેમ્બર, 2018માં ડીએચએફએલએ પોતાના રોકાણકારોને જણાવ્યું હતું કે તેમણે પીએમએવાય હેઠળ રૂ.88,651 લોનની પ્રોસેસ કરી છે અને રૂ.539.4 કરોડની સબસિડી મેળવી છે. જો કે ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે કપિલ અને ધીરજ વાધવાને 2.6 લાખ નકલી હાઉસિંગ લોન ખાતા ખોલ્યા હતાં. જે પૈકી અનેક ખાતા પીએમએવાય સ્કીમ હેઠળ ખોલવામાં આવ્યા હતાં. 2007થી 2019 દરમિયાન આ લોન ખાતાઓમાં રૂ.14,046 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી.