મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે સંસદમાં નિવેદન આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવાર, 9 માર્ચે જણાવ્યું હતું કે ઈરાને તેના ત્રણ જહાજોને ભારતીય બંદરો પર લંગારવા માટે ભારતની પરવાનગી માંગી હતી અને બીજા જ દિવસે ભારતે મંજૂરી આપી હતી. એક ઈરાની જહાજ IRIS LAVAN, 4 માર્ચે કોચી પોર્ટ પર આવ્યું હતું અને તેના ક્રૂ સભ્યો હાલમાં ભારતીય નૌકાદળ સુવિધાઓમાં રોકાયા છે.
જયશંકરે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે આ યોગ્ય નિર્ણય હતો અને ઈરાની વિદેશ મંત્રીએ આ માનવીય કાર્ય માટે ભારતનો આભાર માન્યો હતો.
ત્રણ યુદ્ધ જહાજોમાંથી એક IRIS Dena હતું જેને 4 માર્ચે યુએસ સબમરીને ટોર્પિડોથી ઉડાવી દીધુ હતું અને તે દરિયામાં ડૂબી ગયું હતું.શ્રીલંકાએ તેના પૂર્વીય બંદર ત્રિંકોમાલી પર વધુ એક ઈરાની યુદ્ધ જહાજને ડોક કરવાની મંજૂરી આપી હતી.
એનર્જી સુરક્ષા અંગે જયશંકરે જણાવ્યું હતું કે સરકાર દેશની એનર્જી સિક્યોરિટી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વિદેશ પ્રધાન પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 28 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ઇઝરાયલ, ઈરાન, યુએઈ, બહેરીન, કતાર, કુવૈત અને સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસો દ્વારા જારી કરાયેલી એડવાઈઝરીની પણ વિગતો આપી હતી.














