ફાઇલ ફોટો (ANI Photo)

નૈઋત્યનું ચોમાસુ સોમવાર (13 જૂને) ગુજરાતમાં પ્રવેશ્યું હતું. સોમવારે 22 તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં વિજયનગર, ધનસુરામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જો કે  વરસાદ કેટલાક વિસ્તારમાં આફત બનીને આવ્યો હતો. વીજળી પડવાથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 6 લોકોનાં મોત થયા હતા. ગુજરાતમાં રવિવાર સવારથી સોમવાર સવાર સુધીમાં અમદાવાદ શહેર સહિત આશરે 91 તાલુકામાં વરસાદ થયો હતો. મહિસાગર, જુનાગઢ, અમરેલી અને દાહોલ જેવા 11 જિલ્લામાં 25મીમીથી 75મી સુધી વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકામાં વરસાદના ઝાપટા પડ્યા હતા, એમ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટામાં જણાવાયું હતું.

ભારતના હવામાન વિભાગ (IMD)ના ગુજરાત કેન્દ્રના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. ”દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોમવારે ગુજરાતમાં પ્રવેશ્યું હતું. સામાન્ય રીતે, રાજ્યમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ 15 જૂન હોય છે. જોકે આ વખતે ચોમાસુ બે દિવસ વહેલું આવી ગયું છે.”

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને અરવલ્લીના ધનસુરામાં ૩-૩ ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે મોડાસા અને તલોદમાં ૨-૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બાયડમાં ધામણી નદીમાં નવા નીર આવતાં નદીમાં આધેડ ડૂબતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી.પાટણમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરી રહેલા કિશોરનું મોત થયું હતું. મૃતકના પિતા પણ વીજળીના કારણે થોડીવાર માટે બેભાન થઈ ગયા હતા.

બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ડીસામાં વાવાઝોડાને કારણે જીવંત વીજવાયર પડતાં ચાર પશુઓ મોત થયા હતાં. સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. સૌથી વધુ રાજકોટ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, જામનગરના કેટલાક વિસ્તાર સહિત કચ્છમાં પણ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં કુલ 3 વ્યક્તિ પર વિજળી પડી હતી. ભચાઉ તાલુકાના ખારોઇ ગામે વિજળી પડતા 2 નાં મોત થયાં હતા. રાપરના સુવઇ આસપાસના ગામોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. દેવભૂમી દ્વારકા જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. અમરેલી બાબરા તાલુકાનાં વાવડા ગામે 45 મિનિટમાં 2 ઈચ જેટલો વરસાદ પડી ગયો હતો.  દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં વરસાદ પડ્યો હતો ઓલપાડ, સાયણ અને કીમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કોસંબા અને માંગરોળ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. બારડોલી તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો.

બારડોલી તાલુકાના ભામૈયા, મોરી, ખોજ, પારડી ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.મધ્ય ગુજરાતમાં પણ નર્મદા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ડેડીયાપાડાના કણજીમાં દેવનદીના કોઝવે પરથી પસાર થઇ રહેલી માતા અને પુત્રી પાણીના ધસમતા પ્રવાહમાં તણાઇ ગયાં હતાં.આ ઘટનામાં માતાનો બચાવ થયો છે જયારે પુત્રીનું મોત  થયું હતું.