File Photo

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટ્ટે તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી કરેલી સૌથી મોટી ભૂલોમાં ભારત સાથેના સંબંધ નિભાવવાનો પણ સમાવેશ થાય છે. એબોટ્ટે જણાવ્યું હતું કે, તેઓ ટ્રમ્પની વિદેશ નીતિના જાહેર ચાહક નથી, અને તેમણે ટ્રમ્પના ત્રણ ચોક્કસ ભૂલો પણ જણાવી હતી, જે તેમના મંતવ્ય મુજબ, ભારત સરકારને ‘વગર કારણે દૂર’ રાખી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પે પ્રથમ સજારૂપે ટેરિફ ફટકાર્યા, પછી એવો દાવો કર્યો કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનું કોઇપણ ભોગે સમાધાન કર્યું હતું, અને પછી, હું માનું છું કે, પાકિસ્તાન કોઇ શંકા વગર ભારત સામે ત્રાસવાદને ઉત્તેજન આપી રહ્યું છે અને લાંબા સમયથી તેવા થોડા થોડા કૃત્યો કરી રહ્યું છે તે જાણવા છતા પાકિસ્તાની સેનાના વડા (અસીમ મુનીર)નું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કર્યું હતું.’ ફેબ્રુઆરીમાં ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ એગ્રીમેન્ટની જાહેરાત કરી હતી, જેના કારણે ભારત સાથેનો અગાઉનો વિવાદ થોડો ઠંડો પડ્યો હતો. આ એગ્રીમેન્ટ અંતર્ગત ટ્રમ્પે ઘણી ભારતીય ચીજ-વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો હતો. તેમણે અગાઉ વિવિધ વસ્તુઓ પર 25 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, પછી ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરતાં વધુ 25 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચન પછી ટેરિફ ઘટાડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY