ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલાં સંયુક્ત આક્રમણને પગલે મધ્યપૂર્વમાંથી એનર્જી સપ્લાય ખોરવાઈ જવાની ચિંતા વચ્ચે ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં 6-8 સપ્તાહ સુધી ચાલે એટલો પેટ્રોલ, ડીઝલ તથા અન્ય ઈંધણનો પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. દેશમાં 25 દિવસ સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઈલ અને અન્ય ઈંધણનો પુરવઠો છે. જો કોઈ કારણોસર આ લડાઈ લાંબી ચાલે તેવા સંજોગોમાં ભારત પાસે વૈકલ્પિક આયોજન પણ તૈયાર છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ રિઝર્વના અનામત જથ્થાં તથા કમર્શિયલ સ્ટોક્સનો ઉપયોગ કરવા ઉપરાંત અમેરિકા, રશિયા, પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા જેવા દેશોમાંથી ઓઈલની આયાત કરાશે. કેન્દ્રીય ઓઈલ પ્રધાન હરદીપ સિંહ પુરીએ પણ આ કટોકટીને પહોંચી વળવા ભારત સજ્જ હોવાનું કહ્યું હતું.
ભારતમાં ઓઈલની તંગી સર્જાવાની સંભાવનાને પગલે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સને તેમની પાસે ઉપલબ્ધ ઈંધણના પુરવઠાની તથા આગામી સાત દિવસ માટે જરૂરી ઈંધણની વિગતો મોકલવા જણાવ્યું હતું. આ અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ઈંધણના પુરવઠાની સ્થિતિની સ્પષ્ટ જાણકારી મેળવી, આગોતરું આયોજન કરવા માટે આ વિગતો મંગાવાઈ છે.














