દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુરુવારે સુરતની મુલાકાતે હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘી વીજળી સામેના અભિયાન પછી સુરતમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ અને વડાપ્રધાન જેવા રાષ્ટ્રીય નેતાઓની મુલાકાત વધી ગઇ છે. કેજરીવાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. કેજરીવાલે જણાવ્યું હતું કે, જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે એવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને આ પ્રથમ ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી બીજી એ ગેરંટી છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળીકાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી મળશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપવી અને એ પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે. આ કોઈને આવડતું નથી, કોઈ રાષ્ટ્રીય પક્ષને પણ નથી આવડતું, પરંતુ આ મને આવડે છે. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. અમે પ્રામાણિક સરકાર છે અને અમે માત્ર સાચી વાત કહીએ છીએ.