બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 16 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસાદિક પુષ્પહારથી શ્રી નરેન્દ્રભાઈનું સન્માન કર્યું હતું. મોદીએ યુક્રેન કટોકટી અને કોરોના દરમિયાન બીએપીએસના રાહત કાર્યોની પ્રશંસા કરી હતી. . (ANI Photo/ Narendra Modi Twitter)

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 16 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની કોરોનાની શરૂઆતથી લઈને આજ સુધી ચાલી રહેલી રાહત સેવાઓની માહિતી આપી હતી. જેમાં લાખો દર્દીઓ તથા પરિવારોને સંસ્થા દ્વારા અપાયેલી મેડિકલ, ખાદ્ય સામગ્રી અને આર્થિક સહાયની વિગતોનો સમાવેશ થાય છે. વડાપ્રધાને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ દ્વારા કચ્છના ભૂકંપ વેળાએ કરવામાં આવેલ સેવાકાર્યોનીની પ્રશંસા કરી હતી. યુક્રેનની બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બીએપીએસ સંસ્થાએ કરેલ સેવાકાર્યોને પણ મોદીએ બિરદાવ્યા હતા.

આગામી ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે ઉજવાનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અંગે પણ તેમણે ઊંડો રસ દાખવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ સાથેના કેટલાક અવિસ્મરણીય સંસ્મરણોને વાગોળીને તેઓએ જણાવ્યું હતું કે તેમની આધ્યાત્મિક પ્રગતિમાં અને તેમના આધ્યાત્મિક વિચારોના ઘડતરમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં અબુધાબી અને બાહરીન ખાતે બીએપીએસ દ્વારા બંધાઇ રહેલ હિન્દુ મંદિરોની તેમણે સરાહના કરી હતી.