Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ફરી એકવાર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર આવી રહ્યા છે, મોદીના સ્વાગત માટે ભાજપના સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવના છે. આ દરમિયાન તેઓ 25 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપવાના છે. વડાપ્રધાન દાહોદ અને બનાસકાંઠા જિલ્લાની પણ મુલાકાત લેવાના છે.

18મી એપ્રિલે એટલે કે સોમવારે વડાપ્રધાન મોદી સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અહીંથી તેઓ સીધા ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે ત્રણ દિવસના પ્રવાસનો પ્રારંભ કરશે. અહીંથી વડાપ્રધાન રાજ્યભવન જવા માટે રવાના થશે અને ગાંધીનગરમાં જ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે 19 એપ્રિલે સવારે 9.40 વાગ્યે વડાપ્રધાન મોદી સચિવાલય સંકુલમાં આવેલા હેલિપેડથી જ બનાસકાંઠાના દિયોદર જવાના માટે રવાના થશે, અહીં તેઓ બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલા નવા ડેરી સંકુલનું લોકાર્પણ કરશે. અહીં દૂધની સાથે ચોકલેટ, ચીઝ, માખણ, છાસ, આઈસક્રીમ સહિતના ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં જ વડાપ્રધાન મોદી બટાકાના પ્રોસિંસિંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે અને કમ્યુનિટી રેડિયો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવાના છે. આ પછી પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે કે 19 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી બપોરે 3.30 વાગ્યે જામનગરમાં વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનના ડિરેક્ટર જનરલ, આયુષ પ્રધાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

20 એપ્રિલે વડાપ્રધાન મોદીના પ્રવાસનો અંતિમ દિવસ રહેશે અને આ દિવસે સવારે 10.30 વાગ્યે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ત્રિદિવસીય આયુષ સમિટને ખુલ્લો મૂકશે. અહીંથી તેઓ 3.30 વાગ્યે દાહોદ જશે અને અહીં પાણી પુરવઠા, દાહોદ સ્માર્ટ સિટી, પીએમ આવાસ યોજના, જેટકોના સબ સ્ટેશન, પંચાયતના ભવનો અને આંગણવાડી સહિતની પરિયોજનાઓનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 20મી એપ્રિલે દાહોદમાં 20,0000 કરોડના રોકાણથી 9000 HPના ઈલક્ટ્રિક રેલવે એન્જિનના નિર્માણ માટેના પ્લાન્ટ માટે ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન મોદીએ યુપી સહિતના રાજ્યોમાં મળેલી જીત બાદ ગુજરાતમાં 10 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ પછી ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તા પક્ષ મૌન છે પરંતુ વિવિધ કાર્યક્રમો અને ભાજપ કાર્યલયમાં સતત ચાલતી દોડધામ અને નેતાઓની ભાજપમાં એન્ટ્રીને જોતા વહેલી ચૂંટણી થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.