ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની તબિયત અંગે મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે સોમવાર, 15 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, હાલ યુએન મહેતામાં સારવાર લઈ રહેલા મુખ્યપ્રધાન રૂપાણીના તમામ મેડિકલ ટેસ્ટ નોર્મલ આવ્યા છે અને તેમને કોઈ બીમારી જણાતી નથી તેવું ડૉક્ટરોએ જણાવ્યું છે. જોકે, તેમને સતત ઉજાગરા તેમજ શારીરિક શ્રમને કારણે કદાચ ચક્કર આવ્યા હોય તેમ બની શકે, જેથી ઓબ્ઝર્વેશન માટે 24 કલાક તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે વડોદરામાં ચૂંટણીસભા દરમિયાન 64 વર્ષીય મુખ્યપ્રધાન રૂપાણી ઢળી પડ્યા હતા અને તે પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મુખ્યપ્રધાન એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવાના છે ત્યારે તેમનો ચાર્જ કોને આપવામાં આવશે તેવા સવાલનો જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું કે, મુખ્યપ્રધાન ફોન દ્વારા સતત અધિકારીઓ અને પ્રધાનોના સંપર્કમાં છે તેવામાં તેમનો ચાર્જ બીજા કોઈને આપવાનો હાલ કોઈ સવાલ ઉપસ્થિત નથી થતો.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેમને હોસ્પિટલમાં અઠવાડિયા સુધી રાખવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન તેમનું દિવસમાં બે વાર મેડિકલ ચેક-અપ કરવામાં આવશે અને જરુરિયાત અનુસાર તેમને સારવાર આપવામાં આવશે.

રૂપાણીને શુગર કે બીપીની કોઈ તકલીફ નથી તેવી માહિતી આપતા નીતિન પટેલે કહ્યું હતું કે, તેઓ સવારે યોગ તેમજ પ્રાણાયામ કરે છે તેમજ નિયમિત જમી પણ લે છે. જોકે, છેલ્લા સાત-આઠ દિવસથી પાર્લામેન્ટ્રી બોર્ડની સવારે દસથી રાત્રે અગિયાર વાગ્યા સુધી સતત મિટિંગ ચાલી હતી. આ દરમિયાન તેમણે અલગ-અલગ ચેનલોને પણ ઈન્ટવ્યૂ આપ્યા હતા અને શનિવારથી તેમનો ચૂંટણી પ્રવાસ પણ શરુ થયો હતો. મુખ્યપ્રધાને ભાવનગર, રાજકોટ તેમજ છેલ્લે વડોદરામાં જાહેર સભાઓ સંબોધી હતી. જેના કારણે તેમને થાક લાગ્યો હોવાથી રવિવારે તેમને ચક્કર આવ્યા હોય તેવી શક્યતા ડૉક્ટરોએ દર્શાવી છે.

ચૂંટણીપ્રચાર અંગે મુખ્યપ્રધાન ઘણા લોકોને મળ્યા હોવા અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમના સંપર્કમાં આવેલા લોકોમાંથી કોઈને કોરોના થયો હોય તેવી માહિતી હજુ બહાર આવી નથી, પરંતુ જો આવું કંઈ થશે તો તે જગ્યાએ સઘન ટેસ્ટિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રુપાણી સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયા પણ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં હાજર હતા અને રૂપાણી સાથે તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. બંને નેતાઓ હાલ યુએન મહેતામાં સારવાર ચાલી રહી છે.