પ્રતીકાત્મક તસવીર

ભારતમાં વસતા લોકો મુખ્યત્વે વધુ સારી નોકરીની તકો અને સારા જીવન ધોરણ માટે વિદેશમાં સ્થાયી માટે જતાં હોય છે. વિદેશોમાં કારકિર્દીમાં આગળ વધવાની સંભાવના નોંધપાત્ર રીતે વધારે હોય છે. પરંતુ સાથોસાથ ભારતીય વિદ્યાર્થીઓને ઘરની યાદ પણ સતાવતી હોય છે. અમેરિકામાં અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, તે અને અન્ય વિદ્યાર્થીઓ નોકરી મેળવી શક્યા નથી અને તેઓ સંપૂર્ણ થાકી ગયા હતા અને હવે ભારત પરત જવાનો વિકલ્પ શોધી રહ્યા છે, જેથી તેઓ ત્યાં વિઝાની ચિંતાઓથી દૂર રહીને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
આ વિદ્યાર્થીએ રેડિટ્ટ પર જણાવ્યું હતું કે, ‘હું ફક્ત ઘરે જવા ઇચ્છું છું. કોઇપણ નોકરી કરીશ, ગમે તે પગાર મળે પણ હું હવે શાંતિનો શ્વાસ લેવા ઇચ્છું છું. અથવા તો થોડા સમય માટે બેરોજગાર પણ રહીશ અને વિઝાની ચિંતાનો માથા પર ન રહે તેવું કામ શોધી લઇશ.’
વિદ્યાર્થીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ મહિનાઓથી નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ ઇચ્છિત સફળતા મળી નથી.
‘મહિનાઓથી પ્રયત્ન કરવા છતાં કોઈ ફુલ ટાઇમની નોકરી મળી નથી (બધું ‘યોગ્ય’ કરી રહ્યા છીએ- મહેરબાની કરીને આ અંગે સલાહ આપશો નહીં, હું બસ હવે થાકી ગયો છું). પાર્ટ-ટાઇમ કામ મે મહિનામાં બંધ થઇ જશે. સંશોધનનું કામ પણ એ જ સમયે પૂરું થાય છે. સંબંધ તૂટી રહ્યો છે. રહેવાની પરિસ્થિતિ દુઃખદ છે. નસીબ સારું છે કે, મારે કોઇ દેવુ ચૂકવવાનું બાકી નથી. પરંતુ અપેક્ષાઓ વધુ છે.’ આ વિદ્યાર્થીએ કહ્યું કે, મે મહિનામાં આવક બંધ થયા પછી અમેરિકામાં તમામ કામ પતાવીને તેઓ જૂનમાં પરત જવાનું મન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પછી તેઓ ‘કારકિર્દી’ વિશે વિચારશે, પરંતુ અત્યારે તો તેઓ વિદેશમાં વધુ રહેવા ઇચ્છતા નથી. સોશિયલ મીડિયામાં જેમ જેમ આ પોસ્ટ લોકોના ધ્યાનમાં આવી રહી છે, યુઝર્સ તેને સલાહ આપે છે કે, જો તે ભારત પરત જઇને નવેસરથી શરૂઆત કરવાનો હોય તો તે પોતાની દિલની વાત સાંભળીને આગળ વધે.