Surat court sentenced Rahul Gandhi to two years
(ANI Photo)

સુરતની કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અટક અંગે ટીપ્પણી અંગેના એક ગુનાહિત દાવાના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત માનીને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે કોંગ્રેસ નેતાને જામીન આપવામાં આવ્યા હતા અને તેઓ કોર્ટના ચુકાદા સામે અપીલ કરી શકે તે માટે તેમની સજાને 30 દિવસ મોકૂફ રાખવામાં આવી હતી.
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં એક જાહેરસભામાં સવાલ કર્યો હતો કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક ‘મોદી’ જ કેમ હોય છે. તેમણે ભાગેડુ નીરવ મોદી અને લલિત મોદીના સંદર્ભમાં આ ટીપ્પણી કરી હતી.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એચ વર્માની કોર્ટે ગયા અઠવાડિયે બંને પક્ષોની આખરી દલીલો સાંભળીને પૂર્ણ કરી હતી અને કહ્યું હતું કે તે ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં તેનો ચુકાદો જાહેર કરવા તૈયાર છે. રાહુલ ગાંધી આ કેસમાં સુરત કોર્ટમાં છેલ્લે ઓક્ટોબર 2021માં તેમનું નિવેદન નોંધવા માટે હાજર થયા હતા.

તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો. પૂર્ણેશ મોદી ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાન હતા. ડિસેમ્બરની ચૂંટણીમાં તેઓ સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ફરીથી ચૂંટાયા હતા.

રાહુલ ગાંધીના વકીલે દલીલ કરી હતી કે કોર્ટની કાર્યવાહી શરૂઆતથી જ “ત્રુટિપૂર્ણ” હતી. વકીલે એવી પણ દલીલ કરી હતી કે આ કેસમાં પૂર્ણેશ મોદી નહીં, પરંતુ વડાપ્રધાન મોદી ફરિયાદી હોવા જોઈએ કારણ કે ગાંધીના ભાષણનું મુખ્ય લક્ષ્ય વડા પ્રધાન હતા.

ચુકાદા પછી તેમની પ્રથમ ટિપ્પણીમાં રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને ટાંકીને હિન્દીમાં ટ્વીટ કર્યું કે “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે.”
તેમની બહેન અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું કે ભયભીત શાસકો રાહુલ ગાંધીજીનો અવાજ દબાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. મારો ભાઈ ક્યારેય ડર્યો નથી, ન તો ક્યારેય ડરશે થશે. તેઓ સત્ય બોલવાનું ચાલુ રાખશે. તેઓ દેશની જનતાનો અવાજ બુલંદ કરતા રહેશે.. સત્યની શક્તિ અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે.

રાહુલ ગાંધી ચુકાદા પહેલા સવારે સુરત પહોંચ્યા હતા અને કોંગ્રેસના ગુજરાત એકમના ટોચના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના સમર્થકો અને પક્ષના સભ્યો રાહુલ ગાંધીના સમર્થન માટે સુરતના વિવિધ સ્થળોએ બહાર નીકળ્યા હતા. તેમના હાથમાં ‘શેર-એ-હિન્દુસ્તાન’ લખેલા પોસ્ટરો અને પ્લેકાર્ડ હતા.

દોષિત ઠરાવ્યા પછી રાહુલ ગાંધીને દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના બોસ અરવિંદ કેજરીવાલ તરફથી દુર્લભ ટેકો મળ્યો હતો, જેમણે ટ્વીટ કર્યું કે તેઓ ચુકાદા સાથે “અસંમત છે”. તેમણે લખ્યું હતું કે “બિન-ભાજપ નેતાઓ અને પક્ષો પર કાર્યવાહી કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ સાથે અમારા મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવાવાનું યોગ્ય નથી. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ નિર્ણય સાથે અસંમત છીએ.”

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, “સત્યની કસોટી કરવામાં આવે છે અને તેને હેરાન કરવામાં આવે છે, પરંતુ સત્ય જ જીતે છે. ગાંધી સામે કેટલાય ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તે આ બધામાંથી બહાર આવશે. અમને ન્યાય મળશે.”

LEAVE A REPLY

17 − nine =