દેશમાં વસતા સૌ કોઇને ઇસ્ટર સુધીમાં કોરોનાવાયરસની રસી આપવાનું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. 50 વર્ષથી ઓછી વયના તંદુરસ્ત પુખ્ત વયના લોકોને જાન્યુઆરીના અંતથી રસી આપવામાં આવી શકે છે. ફાઇઝરે યુ.એસ. રેગ્યુલેટર્સને ઇમરજન્સી મંજૂરી માટે અરજી કરી છે. બ્રિટિશ રેગ્યુલેટર્સ આવતા મહિનાના પ્રારંભમાં નિર્ણય પર પહોંચી શકશે.

મેટ હેનકોક કહે છે કે ‘’મને વધુને વધુ આત્મવિશ્વાસ છે કે વસંત ઋતુમાં જીવન સામાન્ય થઈ જશે, કારણ કે એનએચએસ ઇસ્ટર દ્વારા રસી ઇચ્છતા દરેક પુખ્ત વ્યક્તિને કોરોનાવાયરસની રસી આપવાની યોજના ધરાવે છે.’’ તેમણે ફાઇઝરની રસીને મંજૂરી આપવાની પ્રક્રિયા ઔપચારિક રૂપે શરૂ કરી હતી. જે મળતાં જ એનએચએસ બે અઠવાડિયામાં અપેક્ષિત રસીકરણની શરૂઆત કરશે.

13 નવેમ્બરના રોજ કમીટી ઑન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશનની નિર્ધારિત અગ્રતા સૂચિ અનુસાર, ડિસેમ્બરની શરૂઆતમાં કેર હોમના રહેવાસીઓ અને કર્મચારીઓને, ડિસેમ્બરના મધ્યમાં 80 કરતા વધુ વયના લોકોને, ડિસેમ્બરના અંતમાં સિત્તેર વર્ષની વયના લોકોને રસી અપાશે. જાન્યુઆરી માસના પ્રારંભથી 65થી વધુ વયના લોકો અને વધુ જોખમ ધરાવતા નાના પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવશે. જો બધી સંભવિત રસી ઝડપથી ઉપલબ્ધ થઈ જશે તો જાન્યુઆરીના અંતે 50 વર્ષથી ઓછી વયના તંદુરસ્ત પુખ્ત વયના લોકોને રસી આપવાની યોજના શરૂ થઈ શકશે. બધા અગ્રતા જૂથોને ફેબ્રુઆરીના અંત સુધીમાં આવરી લેવાય તેવી અપેક્ષા છે. લગભગ ત્રીજા ભાગના પુખ્ત વયના લોકો રસી લેશે તેવી અપેક્ષા છે.

શ્રી હેનકોકે કહ્યું હતું કે આ યોજનાનો સમયગાળો “વેક્સીનના નિર્માણની ગતિ પર આધારીત રહેશે” અને ડોઝ ઉપલબ્ધ થતાની સાથે એનએચએસ ઝડપથી ઇન્જેક્શન આપશે. નબળા જૂથો માટે તે રસીકરણ કાર્યક્રમ કરવામાં કેટલાક મહિનાનો સમય લાગશે.

યોજનાઓ સૂચવે છે કે જીપી અને સ્વયંસેવકો દ્વારા અઠવાડિયામાં ચાર કે પાંચ મિલિયન લોકોને રસી આપવામાં આવશે અને કેર હોમ અને મુસાફરી ન કરી શકે તેવા લોકો માટે પુરવઠો પહોંચાડવામાં આવશે. આ યોજના સૂચવે છે કે 88 મિલિયનથી વધુ ડોઝ, 44 મિલિયન લોકો માટે પૂરતા છે અને તેને  એપ્રિલના અંત સુધીમાં ઇંગ્લેન્ડમાં પહોંચાડવામાં આવશે.