(PTI Photo)

અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સોમવાર, 16 જૂને રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયાં હતાં. સ્વર્ગસ્થ નેતાના પાર્થિવ દેહને 21 તોપોની સલામી સાથે  ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાંજે 5 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાનગૃહ સુધીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને ‘વિજય રૂપાણી અમર રહો’ના નારા લગાવ્યાં હતાં.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓએ રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

અગાઉ વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, સ્વર્ગસ્થ નેતાના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી પાર્થિવ દેહને તેમના પત્ની અને પુત્ર સહિત તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો.રૂપાણીના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.

અગાઉ શનિવાર, 14 જૂને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ શહેરમાં અડધો દિવસ બંધ પાળવામાં આવ્યો હતો. રાજકોટ રૂપાણીનું વતન છે. એક સામાન્ય ભાજપ કાર્યકરમાંથી, તેઓ રાજકોટ પશ્ચિમથી બે વખત કાઉન્સિલર, મેયર, ધારાસભ્ય અને પછી 2016થી 2021 દરમિયાન બે વખત મુખ્યપ્રધાન બન્યાં હતાં. તેમના અકાળ અવસાન પર શોક વ્યક્ત કરવા માટે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ વેપારીઓ, દુકાનદારો અને વાણિજ્યિક સંસ્થાઓના માલિકોને શનિવાર બપોર સુધી તેમના વ્યવસાયો બંધ રાખવા અપીલ કરી હતી.

LEAVE A REPLY