7 મે, 2024, મંગળવાર, 7 મે, 2024 ના રોજ, ગુજરાતના ખેડામાં, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન મતદાન મથક પર મતદાન કર્યા પછી ટ્રાન્સજેન્ડરો તેમની શાહીવાળી આંગળીઓ બતાવે છે.(PTI Photo)

ગુજરાત સહિતના 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં 93 લોકસભા બેઠકો માટે મંગળવાર 7 મેએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ થયું હતું. મતદાન પહેલા ભાજપ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મતદારોને પોતાની તરફેણમાં રીઝવવામાં છેલ્લી ઘડી સુધી કોઈ કસર છોડી ન હતી અને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતાં.

ત્રીજા રાઉન્ડની ચૂંટણીનું ભાજપ માટે વિશેષ મહત્ત્વ છે, કારણ કે 2019માં ભાજપે ગુજરાત, છત્તીસગઢ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિપક્ષના સુપડા સાફ કર્યા હતા.

ગુજરાતની કુલ 26માંથી 25 બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો હતો. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજય થયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની બાકીની 14, છત્તીસગઢની સાત, મધ્યપ્રદેશની આઠ, બિહારની પાંચ, આસામ અને પશ્ચિમ બંગાળની ચાર-ચાર તથા ગોવાની તમામ બે બેઠકો પર મતદાન ચાલુ થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 2 બેઠકોમાં પણ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.

ત્રીજા તબક્કામાં આશરે 120 મહિલા સહિત કુલ આશરે 1,300 ઉમેદવારો મેદાનમાં હતાં. ભાજપના ઉમેદવારોમાં અગ્રણી કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પરષોત્તમ રૂપાલા (રાજકોટ), પ્રહલાદ જોશી (ધારવાડ) અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ છે, જ્યારે કોંગ્રેસ તરફથી મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ સહિતના નેતાઓનું ભાવિ મતદારો ઇવીએમમાં સીલ કર્યું હતું. અમિત શાહ ગાંધીનગર (ગુજરાત) બેઠક પરથી, સિંધિયા ગુના (મધ્યપ્રદેશ), શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા બેઠક અને દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

ચૂંટણી મેદાનમાં અન્ય દિગ્ગજ નેતાઓમાં મૈનપુરી (ઉત્તર પ્રદેશ) સંસદીય મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડિમ્પલ યાદવની પત્ની અને ધુબરી (આસામ) બેઠક પરથી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલ છે. મહારાષ્ટ્રમાં બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્રના ડેપ્યુપી મુખ્યપ્રધાન અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે મુકાબલો છે.

ત્રીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને તેના  ‘ન્યાય પત્ર’ના મુદ્દે ઘેરી હતી અને રાહુલ ગાંધીને શાહજાદા ગણાવ્યાં હતાં.  કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને મહેલોમાં રહેતા ‘શહેનશાહ’ ગણાવ્યાં હતાં.

લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થયું હતું. પ્રથમ તબક્કામાં 66.14 ટકા જ્યારે બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીનું પરિણામો 4 જૂને જાહેર થશે.

LEAVE A REPLY

17 − 14 =