ઘણા વર્ષો સુધી રેકોર્ડ સંખ્યામાં કાયમી ઇમિગ્રન્ટ્સને પ્રવેશ આપ્યા પછી કેનેડામાં 2025માં નવા કાયમી ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં આશરે 20 ટકાનો મોટો ઘટાડો થયો છે. આ ઘટાડો વૈશ્વિક કોરોના મહામારીના 2020ના વર્ષ પછી સૌથી મોટો છે.
એસોસિયેશન ફોર કેનેડીયન સ્ટડીઝ (એસીએસ)ના સરકારી આંકડાઓના વિશ્લેષણ આધારે ન્યૂઝ વેબસાઇટ નેશનલ પોસ્ટે તૈયાર કરેલા રીપોર્ટ મુજબ મુજબ 2025માં કુલ 3,93,530 નવા કાયમી ઇમિગ્રન્ટ્સ કેનેડામાં આવ્યાં હતાં. 2024માં આ સંખ્યા 4,83,655 હતી. એટલે કે કુલ મળીને નવા કાયમી ઇમિગ્રન્ટ્સમાં લગભગ 19 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ ઘટાડાનું મુખ્ય કારણ ભારતથી આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો છે. 2024માં 1,27,375 ભારતીયો કેનેડામાં સ્થાયી થયા હતાં, જ્યારે 2025માં આ સંખ્યા ઘટીને 98,770 થઈ હતી. છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતીયોની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. 2020માં માત્ર 42,875 ભારતીયો સ્થાયી થયાં હતાં અને 2023માં આ સંખ્યા વધીને 1,39,790 સુધી પહોંચી હતી.
સ્ટુડન્ટ વિઝા અથવા સ્ટડી પરમિટમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. 2025માં જારી કરાયેલા સ્ટડી પરમિટ લગભગ 25 ટકા અથવા 1,31,010નો ઘટાડો થયો હતો. તેમાં પણ 72 ટકા ઘટાડો ભારતીય વિદ્યાર્થીઓને કારણે નોંધાયો છે. 2024માં ભારતના 188,175 વિદ્યાર્થીને સ્ટડી પરમિટ મળી હતી. આ સંખ્યા 2025માં ઘટીને ઘટી 94,605 થઈ હતી. ગયા વર્ષે વર્ક પરમિટમાં પણ 12 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત શરણાર્થીઓમાં 23%, આર્થિક ઇમિગ્રન્ટ્સમાં 19% અને કુટુંબ પ્રાયોજિત ઇમિગ્રન્ટ્સમાં 10% ઘટાડો થયો હતો.













